Lohagad Fort demise : ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડ મામલે તમને સોનમ રઘુવંશીનું નામ યાદ જ હશે. આ તે જ સોનમ જેના પર તેના પતિને ધક્કો મારીને મારી નાખવાનો આરોપ હતો. આવો જ મામલો હવે પૂણેમાંથી સામે આવ્યો છે. જોકે ભૂમિકાઓ બદલાઈ ગઈ છે. સોનમે લગ્ન પછી આ કૃત્ય કર્યું હતું, પરંતુ આ ઘટના લગ્ન પહેલા બની હતી. લોહાગઢ કિલ્લામાં 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કેતનની હત્યા તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ કરી હતી, જેમણે તેને કિલ્લાની ખીણમાં ધકેલી દીધો હતો. આ મામલાની તપાસ કરી રહેલી પૂણે પોલીસના જણાવ્યા અનુસાર 19 જૂનના રોજ થયેલી ઘટના હત્યાનો ત્રીજો અને સફળ પ્રયાસ હતો.
આરોપીઓએ અગાઉ હત્યાના 2 પ્લાન કર્યા હતા
પોલીસનું કહેવું છે કે આરોપીઓએ અગાઉ 31 મે અને 14 જૂને કેતનને મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો હતો. બંને વખત તેઓ ઘટનાને અકસ્માત જેવો દેખાડવાનો ઇરાદો ધરાવતા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન એકઠા થયેલા પુરાવાના આધારે સિયા ગોયલ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બની ત્યારે બંને ઘટનાસ્થળે હાજર હતા. ટેકનિકલ ડેટા, મોબાઇલ રેકોર્ડ્સ અને ડિજિટલ પુરાવાઓ પરથી સાબિત થયું છે કે આ આકસ્મિક પડી જવું ન હતું પણ સુનિયોજિત હત્યા હતી.
પહેલાથી જ હત્યાનો પ્લાન હતો
બતાવવામાં આવી રહ્યું છે કે કેતન અગ્રવાલ તેની મંગેતર સિયા ગોયલ અને મિત્રો સાથે લોહાગઢ કિલ્લાની મુલાકાતે ગયો હતો. આગામી મહિને તેમના થનારા લગ્ન પહેલા સિયાના જન્મદિવસ મનાવવાનો કાર્યક્રમ હતો. પોલીસના જણાવ્યા અનુસાર સિયા ગોયલના ચેતન ચૌધરી નામના વ્યક્તિ સાથે અવૈધ સંબંધ હતા અને તે કેતન સાથે લગ્ન કરવા માંગતી ન હતી.
પરિવાર દ્વારા નક્કી કરાયેલા સંબંધને તોડવા માટે તેણે ચેતન સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પહેલો પ્રયાસ 31 મેના રોજ થયો હતો. ત્યારબાદ 14 જૂનના રોજ સાપના હુમલાનું બહાનું રજૂ કરીને કેતનને ખીણમાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. અંતે 19 જૂનના રોજ સિયાએ કિલ્લાની બીજી યાત્રાનું આયોજન કર્યું હતું અને ચેતનને બોલાવ્યો હતો. બન્નેએ સાથે મળીને કેતનને લગભગ 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધો હતો.
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે UAE ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદશે, આકાશ એર ડિફેન્સની ડીલને લઇનેપણ વાતચીત
તપાસમાં આવ્યો વળાંક
શરૂઆતમાં પોલીસે કેસને આકસ્મિક ઘટના માનીને કેસ નોંધ્યો હતો. કારણ કે કેતન ફોટોગ્રાફ્સ લેતી વખતે ખીણના કિનારેથી લપસી ગયો હતો. જોકે સિયા ગોયલની પૂછપરછમાં જાણવા મળ્યું કે ચોક્કસ હકીકતો છુપાવવામાં આવી રહી હતી. તેના મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા, લોકેશન ડેટા અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસમાં સત્ય બહાર આવ્યું હતું. આ પછી પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને સિયા અને તેના મિત્રની ધરપકડ કરી હતી. પોલીસ હાલમાં તપાસ આગળ ધપાવી રહી છે અને આ બાબતમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે તરફ તપાસ કરી રહી છે.
કેતનના પરિવારને લાગ્યો ફટકો
રિપોર્ટ પ્રમાણે પરિવારના એક સભ્યએ ખુલાસો કર્યો કે લગ્ન પહેલા બન્ને બાલી જવાના હતા. બધી ટિકિટ અને હોટલ બુકિંગ થઇ ગયું હતું, પરંતુ સિયાએ તેનો પાસપોર્ટ ફાડીને હોટલના વોશરૂમમાં ફેંકી દીધો હતો જેના કારણે પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. પરિવારના સભ્યએ વધુમાં ઉલ્લેખ કર્યો કે કેતને સિયાના જન્મદિવસ માટે મહાબળેશ્વરના એક લક્ઝરી રિસોર્ટમાં 40 રૂમ બુક કરાવ્યા હતા અને લોહાગઢમાં પ્રી-વેડિંગ ફોટોશૂટનું પણ આયોજન કર્યું હતું. પરિવારને ઘણો આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું કે તેઓ વિચારી પણ શકતા ન હતા કે આ હત્યા હશે.
