અમદાવાદમાં બે નાની બાળકીઓના મૃત્યુની આસપાસનું રહસ્ય વધુને વધુ જટિલ બની રહ્યું છે. ચાલુ તપાસના ભાગ રૂપે પોલીસે ત્રણ મહિનાની બાળકીના દફનાવવામાં આવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે બહાર કાઢ્યો છે. પરિવારે અધિકારીઓને જાણ કર્યા વિના મૃતદેહને દફનાવી દીધો હતો. જોકે બાળકીના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે . ત્યારબાદ મૃતદેહને અસારવા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
પીઆઈ જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર, બાળકીએ પોતે ખીરુ ખાધું ન હતું. તેના બદલે એવી શંકા છે કે તેની માતાએ ખીરુ ખાધા પછી તેને સ્તનપાન કરાવવાથી અસર થઈ હતી. હાલમાં પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.કે. મકવાણાએ જણાવ્યું કે આ મામલો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક જ પરિવારની બે પુત્રીઓનું મૃત્યુ થયા હતા અને તેમના માતા-પિતા ગંભીર રીતે બીમાર પડી ગયા હતા. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે ઢોસા ખાધા પછી આ દુર્ઘટના બની હતી. જોકે આ વાતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરિવારમાં જેમાં વિમલ, તેની પત્ની ભાવના અને તેમની બે પુત્રીઓ (ત્રણ મહિના અને ચાર વર્ષની)નો સમાવેશ થાય છે. એ જ ભોજન ખાધું હતું. સારવાર દરમિયાન ત્રણ મહિનાની બાળકીનું 4 એપ્રિલે મૃત્યુ થયું હતું, જ્યારે ચાર વર્ષની બાળકી 5 એપ્રિલે બીમારીને કારણે મૃત્યુ પામી હતી. દરમિયાન માતા-પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
ખીરુ સંબંધિત ઘટનાની ટાઈમલાઈન
- 1 એપ્રિલ: ખીરુ ઘનશ્યામ ડેરીમાંથી ખરીદવામાં આવ્યું હતું. તે જ દિવસે પરિવારના એક સભ્યએ ખીરુમાંથી બનાવેલ ઢોસા ખાધા હતા.
- 2 એપ્રિલ: પત્ની અને ચાર વર્ષની પુત્રીએ પણ ઢોસા ખાધા હતા.
- 3 એપ્રિલ: તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
- 4 એપ્રિલ: અઢી મહિનાની બાળકીનું અવસાન થયું.
- 5 એપ્રિલ: ચાર વર્ષની પુત્રીનું પણ અવસાન થયું.
- 6 એપ્રિલ: પરિવારે ડેરી પર આરોપ લગાવ્યા.
- 6 એપ્રિલ: પોલીસ અને FSL ટીમે નમૂના લીધા.
- 7 એપ્રિલ: પોલીસે બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો.
હાલમાં પતિ-પત્ની સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ છે. ત્યાં જ પરિવારના આક્ષેપ મુજબ, આઈઓસી રોડ પર આવેલી એક ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવવામાં આવ્યું હતું. આ ખીરાના ઢોસા ખાધાના થોડા જ કલાકોમાં પરિવારના ચાર સભ્યોને ઉલટી-ઉબકા થવા લાગ્યા હતા.
વાયરલ વીડિયો AI થી બનાવેલો છે, હર્ષ સંઘવી અને મહેસાણા કેસ મુદ્દે ગોપાલ ઇટાલિયાનો મોટો દાવો
શું આ ખરેખર ફૂડ પોઈઝનિંગ છે?
પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ના રિપોર્ટની રાહ જોઈ રહી છે. ડોક્ટરોનું માનવું છે કે આ તીવ્ર ફૂડ પોઈઝનિંગનો કેસ હોઈ શકે છે, પરંતુ મૃત્યુનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાએ શહેરમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને પેકેજ્ડ ફૂડના જોખમો અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
