Final Up to date:
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે સાંજના સમયે ભીડ જમાવતો ‘The Chaat Wale’ સ્ટોલ માત્ર સ્વાદ માટે જ નહીં, પણ અદમ્ય હિંમત માટે જાણીતો બન્યો છે. થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારી સામે લડતા અને દર 15 દિવસે બ્લડ ચડાવવાની જરૂરિયાત ધરાવતા બે યુવાન મિત્રોએ હાર માનવાને બદલે સ્વનિર્ભર બનવાનો માર્ગ પસંદ કર્યો છે.
રાજકોટ: કહેવાય છે કે જો મનમાં હિંમત અને કંઈક કરવાનું જિજ્ઞાસુ મન હોય તો મુશ્કેલીઓ પણ રસ્તો રોકી શકતી નથી. રાજકોટના બે મિત્રો, જેમને થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારી છે અને જેમને દર 15 દિવસે બ્લડ ચડાવવું પડે છે, તેઓ આજે પોતાના આત્મવિશ્વાસ અને મહેનતના બળે ‘The Chaat Wale’ નામે ચાટ અને પાણીપુરીનો બિઝનેસ ચલાવી રહ્યા છે. તેમની આ સફર અનેક લોકો માટે પ્રેરણાદાયક બની રહી છે.
રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલા શીતલ પાર્ક વિસ્તારમાં સાંજ પડે એટલે ચાટ અને પાણીપુરીના રસિયાઓ માટે એક ખાસ સ્થળ બની ગયું છે. અહીં ‘The Chaat Wale’ નામે બે મિત્રોએ શરૂ કરેલો સ્ટોલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. આ સ્ટોલ પાછળની કહાની માત્ર બિઝનેસની નથી, પરંતુ હિંમત, સંકલ્પ અને મિત્રતાની અનોખી કહાની છે.
આ સ્ટોલ ચલાવનાર બે મિત્રો છે, જેમની ઉંમર લગભગ 25 અને 26 વર્ષ છે. તેઓ બંને થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારી સાથે જીવન જીવતા હોવા છતાં હાર માન્યા વગર પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બીમારીને કારણે તેમને દર 15 દિવસે બ્લડ ચડાવવું પડે છે, પરંતુ આ પરિસ્થિતિ છતાં તેમણે જીવનમાં કંઈક કરી બતાવવાનો સંકલ્પ કર્યો છે. આ બંને મિત્રો છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ‘The Chaat Wale’ નામે પોતાનો ચાટનો વ્યવસાય શરૂ કર્યો છે. શરૂઆતમાં થોડા લોકો જ આવતા હતા, પરંતુ ધીમે ધીમે તેમની મહેનત અને સ્વાદના કારણે આજ રોજ અહીં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો અહીં ખાસ કરીને પાણીપુરી અને વિવિધ ચાટનો સ્વાદ માણવા માટે આવે છે.

આ સ્ટોલ પર પાણીપુરી ઉપરાંત દહીંપુરી, લીંબુપુરી, પાપડીપુરી, રગડાપાપડીપુરી અને ભેળ જેવી અનેક ચાટની વાનગીઓ ઉપલબ્ધ છે. દરેક વાનગીમાં સ્વાદ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો તેમજ યુવાનો અહીં આવવાનું પસંદ કરે છે. આ બંને મિત્રો કહે છે કે શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી, પરંતુ મનમાં એક જ વિચાર હતો કે કંઈક પોતાનું કરવું છે. કહેવાય છે કે જ્યાં “ચાહ” હોય ત્યાં “રાહ” મળી જ જાય છે, અને આ કહેવત તેમના જીવનમાં સાચી સાબિત થઈ રહી છે. બીમારી હોવા છતાં તેઓ રોજ સાંજે સ્ટોલ પર ઊભા રહી ગ્રાહકોને સેવા આપે છે અને પોતાના સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
સાંજે ચાર વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી તેઓ સતત કામ કરે છે અને ગ્રાહકોને તાજી અને સ્વાદિષ્ટ ચાટ પીરસે છે. લોકોનો મળતો સારો પ્રતિસાદ તેમની મહેનતને વધુ પ્રેરણા આપી રહ્યો છે. આ સ્ટોલ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આર.કે. વર્લ્ડ ટાવર બાજુમાં, શીતલ પાર્ક પાસે આવેલો છે. અહીં આવતા લોકો માત્ર ચાટનો સ્વાદ જ નથી માણતા, પરંતુ આ બંને મિત્રોની હિંમત અને જીવન જીવવાની હકારાત્મક ભાવનાને પણ નજીકથી અનુભવે છે. બીમારી સામે લડતાં લડતાં પણ પોતાના સપનાઓને સાકાર કરવા માટે સતત પ્રયત્ન કરતા આ બંને મિત્રો અનેક લોકો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. તેમની આ કહાની બતાવે છે કે જો મનમાં હિંમત અને સંકલ્પ હોય તો કોઈપણ મુશ્કેલી જીવનના રસ્તામાં અવરોધ બની શકતી નથી.

