Final Up to date:
કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી સાક્ષાત્ દેવ છે, પણ શું તમે ક્યારેય એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં ભક્તોની મનોકામનાનો બદલો ‘રોકડો’ મળે છે? સુરતના સગરામપુરા વિસ્તારની સાંકડી ગલીઓમાં આવેલું રોકડિયા હનુમાન મંદિર શહેરની શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. આશરે 700 વર્ષ જૂના આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી જ ભક્તોના દુઃખ દૂર થતા હોવાની લોકવાયકા છે.
સુરતઃ સુરત શહેરના સગરામપુરા વિસ્તારમાં આવેલી હનુમાન શેરીમાં આવેલું રોકડિયા હનુમાનનું મંદિર શહેરના પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે અને મંગળવાર તથા શનિવારના દિવસે તો અહીં ખાસ ભીડ જોવા મળે છે. સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો અહીં પોતાની માનતા લઈને આવે છે.
મંદિરના પૂજારીના મતે આ મંદિર આશરે 700 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. સમય જતાં મંદિરની રચનામાં થોડો બદલાવ આવ્યો હતો અને વર્ષ 1975 દરમિયાન મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. રિનોવેશન પછી મંદિરનું સ્વરૂપ વધુ સુવ્યવસ્થિત બન્યું હતું, છતાં મંદિરની પ્રાચીનતા અને પરંપરા આજે પણ યથાવત્ જાળવવામાં આવી છે.
‘રોકડિયા હનુમાન’ નામ પાછળ પણ એક રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે. માન્યતા મુજબ હનુમાનદાદા ભક્તોની માનતા ‘રોકડી રીતે’ એટલે કે તરત જ પૂર્ણ કરે છે. ભક્તો જે પણ ઈચ્છા લઈને અહીં આવે છે, તે જલદી પૂર્ણ થાય છે એવી લોકમાન્યતા હોવાથી લોકો પ્રેમપૂર્વક હનુમાનદાદાને ‘રોકડિયા હનુમાન’ તરીકે ઓળખવા લાગ્યા. આ મંદિરની કેટલીક અનોખી ધાર્મિક પરંપરાઓ પણ છે. સામાન્ય રીતે હનુમાનજીના મંદિરમાં શ્રીફળ ધરાવવાની પરંપરા બહુ જોવા મળતી નથી, પરંતુ અહીં ભક્તો શ્રીફળ ધરાવે છે અને તે પણ વધેરીને અર્પણ કરે છે. ભક્તો માનતા રાખીને આ રીતે શ્રીફળ ચડાવે છે.

તે સિવાય, અહીં આંકડાના ફૂલની માળા સાથે 21 લવિંગની માળા ચડાવવાની પણ વિશેષ પરંપરા છે. ભક્તોનું માનવું છે કે આ રીતે પૂજા કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને હનુમાનદાદાની કૃપાથી મનની ઈચ્છા જલદી પૂર્ણ થાય છે. આ અનોખી માન્યતાઓ અને પરંપરાઓને કારણે સગરામપુરાનું રોકડિયા હનુમાન મંદિર વર્ષોથી ભક્તોની અખૂટ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. દરરોજ અહીં આવતા ભક્તોમાં વિશ્વાસ છે કે હનુમાનદાદાની કૃપાથી તેમની માનતા ચોક્કસ પૂર્ણ થશે.
આ અંગે મંદિરના પૂજારી દિનેશગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 50 વર્ષથી મંદિરમાં સેવા પૂજા કરીએ છીએ. વર્ષો પહેલા રાધિકા નામના મહિલા હતા, જેમની આસ્થા ત્યાં હતી અને વર્ષ 1975 માં તેમણે આ મંદિર શેરીને સમર્પિત કર્યું હતું અને ટ્રસ્ટ બનાવ્યું હતું. ત્યારથી ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. અહીં દાદાની મૂર્તિ સિંદૂરી મૂર્તિ નથી. આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ છે. સિંદૂર, ખારેક, અળદ પણ અર્પણ કરવામાં આવે છે. 21 લવિંગની માળા લાલ કે પીળા દોરામાં ભક્તો ચડાવે છે અને દાદાને ઈચ્છા પૂરી કરવા માટે કહે છે. ભક્તો જે કોઈ ઈચ્છા વ્યક્ત કરે તેનું ફળ દાદા રોકડું આપતા હતા જેને લઈને નામ રોકડિયા હનુમાન વર્ષોથી પડ્યું છે.
