Final Up to date:
રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 લોકો આવી ગયા હતા. અકસ્માતમાં 1 યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 1 યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યિું એટલે કે કુલ 2 યુવકોના આ અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યા છે.
રાજકોટ: શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા માલધારી ફાટક પાસે સોમવાર સાંજે એક દુર્ઘટનામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા બે યુવાનોના મોત થયા છે. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ બની હતી. આજીડેમ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ, વેરાવળથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેન દરમિયાન ચાર જેટલા યુવાનો રેલવે ટ્રેક પર સેલ્ફી અને વીડિયો બનાવવા પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે ઝડપથી આવી રહેલી ટ્રેનની અડફેટે તેઓ આવી ગયા હતા.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું કે, સંદીપ પટેલ અને સંદીપ કોહલી નામના બે મિત્રોના આ ઘટનામાં મોત થયા છે. એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્રીજો યુવક કપિલદેવ પટેલ હાલ સારવાર હેઠળ છે અને તેની હાલત ખતરાથી બહાર હોવાનું જણાવવામાં આવ્યું છે. ચોથો યુવક કુલદીપ કોહલી બચી ગયો છે.
ઘટના સ્થળ પરથી પોલીસને એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. જેમાં અકસ્માત પહેલા રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા હોવાના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ચારેય યુવાનો માલધારી ફાટક નજીક આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને તેઓ પરપ્રાંતીય હતા. પોલીસ દ્વારા મૃતકોના આધાર કાર્ડ સહિતના ઓળખ સંબંધિત દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
મીડિયા સાથેની વાતચીતમાં પ્રત્યક્ષદર્શી કુલદીપ પટેલે જણાવ્યું હતું કે, “હું આજે રાજકોટ કામ માટે ટ્રેન મારફતે આવ્યો હતો. સાંજે સંદીપ કોહલી બસ મારફતે વતન પરત જવાનો હતો. ચાર વાગ્યાની આસપાસ અમે રૂમમાંથી નીકળીને રેલવે ટ્રેક પાસે સેલ્ફી લઈ રહ્યા હતા, ત્યારે અચાનક ટ્રેન આવી ગઈ અને અકસ્માત સર્જાયો.”

