Final Up to date:
Ajit Pawar Spouse: મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તેઓ તેમના દિવંગત પતિ અને NCP ચીફ અજિત પવારની જગ્યાએ રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે.
Ajit Pawar Spouse: મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તેઓ તેમના દિવંગત પતિ અને NCP ચીફ અજિત પવારની જગ્યાએ રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. શનિવારે વહેલી સવારે સુનેત્રા પવાર તેમના દીકરા પાર્થ પવાર સાથે મુંબઈ પહોંચ્યા હતા અને દક્ષિણ મુંબઈમાં આવેલા દેવગિરીમાં, તેમના દિવંગત પતિના સરકારી નિવાસસ્થાને ગયા હતા.
અજિત પવારનું બુધવારે બારામતીમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. ત્યારથી જ NCPના નેતૃત્વ અને પવાર પરિવારના આગામી રાજકીય પગલાં વિશે ચર્ચા તેજ થઈ ગઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, શનિવારે બપોરે મુંબઈમાં NCPના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સુનેત્રા પવારને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. ત્યારબાદ તેમનો નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો થઈ જશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું છે કે, મહાયુતિ સરકાર NCP અને પવાર પરિવારના દરેક નિર્ણય સાથે ઊભી છે. તેમણે કહ્યું કે, NCP નાયબ મુખ્યમંત્રી પદ અંગે જે પણ નિર્ણય લેશે, ભાજપ અને સરકાર તેનું સમર્થન કરશે. અમે અજિત દાદાના પરિવાર અને પાર્ટી સાથે છીએ.
બીજી તરફ NCPના સ્થાપક શરદ પવારે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તેમને સુનેત્રા પવારના આજે શપથ લેવા અંગે કોઈ જાણકારી નથી અને આ પાર્ટીનો આંતરિક નિર્ણય છે. તેમજ, એનસીપી (શરદ પવાર જૂથ)ના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીના નેતૃત્વ અને પરિવારના અનેક સભ્યો આ નિર્ણયથી અજાણ છે.
સુનેત્રા પવાર અત્યાર સુધી સક્રિય રાજનીતિમાં ઓછા દેખાતા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે બારામતી સીટથી ચૂંટણી લડી હતી, જ્યાં તેમની ટક્કર તેમની નણંદ અને NCP (એસપી) સાંસદ સુપ્રિયા સુલે સાથે થયો હતો. આ પ્રતિષ્ઠિત મુકાબલામાં સુનેત્રા પવારને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.
જો તેઓ આજે શપથ લેશે, તો સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે. આને માત્ર એનસીપી જ નહીં, પરંતુ રાજ્યની રાજનીતિમાં પણ ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. તેમજ, અજિત પવારના નિધન પછી પાર્ટીને સ્થિરતા આપવાની જવાબદારી પણ હવે સુનેત્રા પવારના ખભા પર આવી જશે.
સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશો તો ડેપ્યુટી સીએમનું ખાલી પદ તો ભરાઈ જશે, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ભવિષ્યને લઈને ઘણા મોટા સવાલ હજુ પણ બન્યા રહેશે. જેમ કે, સૌથી પહેલો સવાલ એ છે કે સુનેત્રા પવાર ડેપ્યુટી સીએમ બન્યા પછી NCP (અજિત પવાર ગ્રુપ)ના મહત્વના નિર્ણયો કોણ લેશે? અજિત પવારના નિધન પછી પાર્ટીના નેતૃત્વ અંગે અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ છે. સુનેત્રા પવાર પાસે ડેપ્યુટી સીએમનું પદ તો હશે, પરંતુ સંગઠનાત્મક નિર્ણયો અને રાજકીય રણનીતિની કમાન કોના હાથમાં રહેશે, તે હજુ સ્પષ્ટ નથી. પાર્ટીની અંદર એવી ચર્ચા પણ ચાલી રહી છે કે શું સુનેત્રા પવાર માત્ર સરકારમાં જ પ્રતિનિધિત્વ કરશે કે પાર્ટીના નિર્ણયોમાં પણ તેમની ભૂમિકા નિર્ણાયક રહેશે.
બીજો મોટો સવાલ NCP (અજિત પવાર) અને NCP (શરદ પવાર) વચ્ચે સંભવિત વિલય (મર્જર)ને લઈને છે. 2023માં અજિત પવારે પોતાના કાકા શરદ પવારથી અલગ થઈને પાર્ટી તોડી હતી, ત્યારબાદ એનસીપી બે ગ્રુપમાં વહેંચાઈ ગઈ હતી. હવે અજિત પવારના નિધન પછી બંને ગ્રુપના ફરીથી એક થવાની અટકળો તેજ થઈ ગઈ છે. હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ પાર્ટીના સૂત્રો માને છે કે આવનારા સમયમાં આ દિશામાં વાતચીત થઈ શકે છે.
જો બંને ગ્રુપનો વિલય થાય, તો ત્રીજો અને સૌથી જટિલ સવાલ નેતૃત્વ અંગેનો ઉભો થશે. એક થયેલી NCPનો સૌથી મોટો ચહેરો કોણ બનશે — શરદ પવાર, સુપ્રિયા સુલે, સુનેત્રા પવાર કે કોઈ બીજા નેતા? આ નક્કી કરવું સરળ નહીં હોય. આ સાથે એ પણ સ્પષ્ટ કરવું પડશે કે NCP પાર્ટી સત્તાધારી ગઠબંધન સાથે જ રહેશે કે વિપક્ષી ગઠબંધનનો ભાગ બનશે.
Jan 31, 2026 10:00 AM IST

