Final Up to date:
પોલીસ તો મૃતકની ઓળખ કરી શકી નથી, પરંતુ હત્યારાને પણ ખબર નથી કે તેણે જે વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો, તે વ્યક્તિ આખરે કોણ હતો? ચાલો, જોઈએ ગુનાની દુનિયાની રહસ્યમય વારદાત વિશે…
પોરબંદર: ગુનાની કાળી દુનિયા અને તેના ઘૂંટાતા રહસ્ય ભલભલાને છક કરી દેતાં હોય છે. રૂપેરી પડદે કાલ્પનિક ઘટનાઓ કરતાં રીયલ ઘટનાઓ પર આધારિત સિનેમા લોકોને અચંબામાં મૂકી છે. આવી જ એક રિયલ પણ માનવામાં ન આવે તેવી ઘટના ગુજરાતના પોરબંદરમાં આજથી પાંચ વર્ષ પહેલા બની હતી. કરપીણ હત્યાની ગુથ્થી સુલજાવતાં પોલીસ પોતે પણ ગોથે ચડી હતી, પરંતુ ગુનેગારો જેટલા સાતિર હોય છે તેના કરતાં અનેક પગલાં પોલીસ આગળ રહે છે. ખેર, પાંચ વર્ષ પહેલા એક વ્યક્તિની હત્યાના કેસમાં ગુના સુધી તો પોલીસ પહોંચી ગઈ અને હત્યારાઓને જેલના સળિયા ગણતા કરી દીધા પરંતુ આ કેસ હજુ સુધી આખો તો ઉકેલાયો નથી. કેમ કે, જે વ્યક્તિની હત્યાના ગુનામાં આ રીઢો ગુનેગાર ઝડપાયો છે, તેણે કોની હત્યા કરી હતી અને તે મૃતક કોણ છે, તેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ તો મૃતકની ઓળખ કરી શકી નથી, પરંતુ હત્યારાને પણ ખબર નથી કે તેણે જે વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો, તે વ્યક્તિ આખરે કોણ હતો? ચાલો, જોઈએ ગુનાની દુનિયાની રહસ્યમય વારદાત વિશે…
પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ પૂર્વે નોંધાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. એલસીબીએ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે પરંતુ અહી સૌથી મોટી અજીબો ગરીબ વાત એ છે કે, હત્યા કરનાર આરોપી ઝડપાઈ ગયો છે પરંતુ ખુદ હત્યા કરનારને એ ખબર નથી કે તેણે કોની હત્યા કરી હતી. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવા આ ગુનાને ડિટેક્ટ કરવામાં એલસીબીની સમગ્ર ટીમે ભારે મહેનત કરી છે.
આ સમગ્ર કેસની વાત કરીએ તો ગત 16 જૂન 2021ના દિવસે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ધ્રુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. જેની ઉંમર આશરે 48 આસપાસ હતી. આ અજાણ્યા મૃતદેહ મળ્યા બાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અકસ્માતે મોતની નોંધ કરવામાં આવે છે. પરંતુ મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને કોઈ પદાર્થ વડે શરીરે માર મારવાથી તેમજ દાઢી અને ગાલ તેમજ શરીર ઉપરની ઈજાના કારણે મોત થયાનું સામે આવતા 14 જુલાઈ 2021ના રોજ અજાણ્યા લોકો વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં અનડીટેક્ટ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પાંચ વર્ષથી અનડિટેક્ટ ગુનામાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, કુતિયાણાના મેવાસાનેશનો 34 વર્ષીય અરજણ ઉર્ફે બીડી પરબત કરમટા કે જેની વિરુદ્ધ કુલ 30 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, તે અરજણ કરમટા તથા તેમની સાથે રહેલો સાહેદો ગત 15 જૂન 2021ના રોજ જૂનાગઢ તેમની જૂની કોઈ અદાવતને લઈને કોઈને મારવા માટે ગયા હતા. તે વ્યક્તિ ન મળતાં તેઓ જૂનાગઢથી 16મીએ પરત પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. તે સમયે રાતના ત્રણેક વાગ્યે જૂનાગઢ જિલ્લાના દડવા ગામના પાટીયા પાસેથી જાહેર રોડ પર જૂનાગઢથી ચૌટા વાંક તરફ ચાલતાં જતાં અજાણ્યા વ્યક્તિને પોતાની ગાડીમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયા હતા.
આ અજાણ્યો શખ્સ ભાગવા જતા આરોપી અરજણે દારૂને નશામાં આ વ્યકિતને ઝાડ સાથે બાંધી લાકડાના ધોકા વડે માર મારતા તેનું મોત નિપજ્યું હતું. મૃતકના મૃતદેહને આરોપી પોતાના ઘરથી 4 કિલોમીટર દૂર પોતાની સફેદ કલરની સ્વિફ્ટ ગાડી જેના નંબર GJ-06-DQ-1611માં ધ્રુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ
વિસ્તારમાં ફેંકી દીધો હતો. પોલીસે તમામ પુરાવાઓ તથા સીસીટીવી સહિતના આધારે આરોપી અરજણ ઉર્ફે બીડી પરબ કરમટા હોવાનું સામે આવતા પોરબંદર એલસીબીએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
એક અજાણ્યા વ્યક્તિની હત્યા થઈ છે તે વ્યકિત કોણ છે, તેના પરિવારજનો કોણ છે, તેની કોઈ ઓળખ થઈ શકી નથી. તેમ છતાં પોલીસે હત્યાના ગુનાને ઉકેલવા મહેનત કરી અને ભેદ ઉકેલ્યો છે. પાંચ વર્ષ જૂના ગુનાને ઉકેલવામાં પોલીસની સરાહનીય કામગીરી રહી છે. જોકે, પોલીસે આરોપી સુધી પહોંચીને રાહતનો શ્વાસ લીધો નથી, પરંતુ મૃતકની ઓળખ હજુ પણ ચાલુ છે.
Porbandar,Gujarat

