પીએમ મોદીના જણાવ્યા અનુસાર, દેશમાં કોંગ્રેસનો જનાધાર રાજ્યોમાં ખૂબ જ ઘટી ચુક્યો છે. વર્તમાનમાં ખાલી ચાર જ એવા રાજ્યો છે, જ્યાં વિધાનસભામાં કોંગ્રેસ પાસે 50 અથવા તેનાથી વધારે ધારાસભ્યો છે. હાલના રાજકીય આંકડા પર નજર નાખીએ તો કયા એવા ચાર રાજ્યો છે, જ્યાં કોંગ્રેસ પાસે 50થી વધારે ધારાસભ્ય છે.
કર્ણાટક: 2023ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું અને 135 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી.
રાજસ્થાન: 2023ની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા ગુમાવી, પણ વિપક્ષ તરીકે હજુ પણ તેના પાસે 69 ધારાસભ્યો છે.
મધ્ય પ્રદેશ: 2023ના વિધાનસભા ચૂંટણીમાં ભારે હાર છતાં, રાજ્યમાં કોંગ્રેસ પાસે 66 ધારાસભ્યો છે.
તેલંગાણા: 2023ના અંતે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે BRSને હરાવીને 64 બેઠકો જીતી અને પોતાની સરકાર બનાવી.
એ પણ જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં છે અથવા સત્તાની ભાગીદાર છે, પણ ત્યાં તેના ધારાસભ્યોની સંખ્યા 50થી ઓછી છે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસના ઘટતા લોકપ્રિય આધાર તરફ ઈશારો કર્યો છે. જો 1984ની લોકસભા ચૂંટણી તરફ નજર કરીએ તો, ઈન્દિરા ગાંધીની હત્યા પછી ઉભેલી સહાનુભૂતિની લહેરના કારણે કોંગ્રેસે 414 બેઠકો અને લગભગ 48.1% મત મેળવ્યા હતા. 1989ની ચૂંટણીમાં તેનો મતપ્રતિશત ઘટીને 39.5% રહ્યો હતો. ચાલો જોઈએ કે 1984 પછી કોંગ્રેસનો મતપ્રતિશત કેવી રીતે ઘટ્યો:
1989થી 1999 (ઘટાડાનો સમય): બોફોર્સ કૌભાંડ અને રાજકીય અસ્થિરતાની વચ્ચે 1989માં કોંગ્રેસનો મત ટકાવારી ઘટીને 39.5% (197 બેઠકો) રહ્યો. 1991માં તે 36.2%, 1996માં 28.8% અને 1998માં માત્ર 25.8% રહ્યો.
UPAનો સમય (2004-2009): 2004 (26.5% મત) અને 2009 (28.5% મત)માં કોંગ્રેસે ગઠબંધન (UPA)ના સહારે 10 વર્ષ સુધી કેન્દ્રમાં સરકાર ચલાવી, પણ આ દરમિયાન પણ પાર્ટી પોતે રાષ્ટ્રીય સ્તરે 30% મત ટકાવારીનો આંકડો પાર કરી શકી નહોતી.
2014થી 2024 (ઇતિહાસિક ઘટાડો): 2014માં નરેન્દ્ર મોદીની લહેર સામે કોંગ્રેસનો મત ટકાવારી સૌથી નીચા સ્તરે 19.3% (માત્ર 44 બેઠકો) રહ્યો. 2019માં તે 19.5% (52 બેઠકો) રહ્યો. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધન સાથે ચૂંટણી લડીને કોંગ્રેસની બેઠકોમાં સુધારો (99 બેઠકો) થયો, પણ તેનો રાષ્ટ્રીય મતપ્રતિશત લગભગ 21.2% સુધી જ સીમિત રહ્યો.
