Final Up to date:
અમેરિકાથી ગુજરાત આવેલા NRI મહિલાના કિંમતી અને વારસાગત સોનાના દાગીનાની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે ચોરીમાં સંડોવાયેલી બે મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 20 લાખ 20 હજારથી વધુ કિંમતના સોનાના દાગીના કબ્જે લીધા છે.
અમદાવાદ: મૂળ ભારતીય અને હાલ અમેરિકામાં રહેતા સરયૂબેન તેમના પરિવાર સાથે દાદા ભગવાનના સત્સંગમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન સત્સંગમાં હાજરી આપીને તેઓ અડાલજ ત્રિમંદિરથી અમદાવાદ તરફ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. સરયૂબેન પાસે તેમના પૂર્વજોના વારસાગત સોનાના દાગીના હતા, જે તેઓ પોતાના પુત્ર અને પુત્રવધૂ માટે નવા દાગીના બનાવડાવવા ઝવેરી પાસે લઈ જવા માટે સાથે રાખેલા હતા. બસમાં મુસાફરી દરમિયાન ભીડનો લાભ લઈ અજાણ્યા ઇસમો દ્વારા તેમના પર્સની ચોરી કરવામાં આવી હતી. ચોરીની ઘટના બાદ સરયૂબેન દ્વારા તા. 21 જાન્યુઆરીના રોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પર્સમાં રહેલા દાગીના માત્ર આર્થિક રીતે નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ પરિવાર માટે અમૂલ્ય હોવાથી NRI પરિવાર ભારે નિરાશામાં મુકાઈ ગયો હતો.
ફરિયાદ મળતાની સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ચોરીમાં સંડોવાયેલી બે મહિલાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી. પકડાયેલી આરોપી મહિલાઓ રમીલાબેન પરથીભાઈ પરમાર અને સરલા જીતીન ગણાવા છે. જે બંને મહિલાઓ દાહોદ જિલ્લાની રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ અમદાવાદમાં મજૂરી કામ કરવાની આડમાં આવતી હતી અને BRTS તેમજ AMTS બસોમાં મુસાફરી કરતી વખતે ભીડભાડનો લાભ લઈ ચોરી કરતી હતી. બંને મહિલાઓ પોતાની સાથે નાના બાળકોને રાખી મુસાફરોને બેસવા માટે જગ્યા આપવા કે સહાનુભૂતિ બતાવી ધ્યાન ભટકાવતી અને આ તકનો લાભ લઈ પર્સમાંથી રૂપિયા અને કિંમતી દાગીનાની ચોરી કરતી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલ સોનાના દાગીના કબ્જે કર્યા છે, જેમાં સોનાના સિક્કા નંગ-6, સોનાની બંગડી નંગ-1 અને સોનાની કંઠીમાળા નંગ-1 કબ્જે કરી છે. પકડાયેલ મહિલા આરોપીઓ આ દાગીના વેચવાની ફિરાકમાં હતી, ત્યારે માણેક ચોક વિસ્તાર પાસેથી તેમને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ કરીને બસ અને જાહેર પરિવહનમાં મુસાફરી કરતી વખતે સતર્ક રહેવા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરી હતી.
Ahmedabad,Gujarat
Jan 24, 2026 10:47 PM IST

