Final Up to date:
અમદાવાદમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. હત્યાના ગુનામાં આજીવન કારાવાસ ભોગવી રહેલા એક ગુનેગારને સ્પેશિયલ NDPS કોર્ટે ગાંજા કેસમાં વધુ એક કડક સજા ફટકારી છે. વર્ષ 2017માં કેડીલા બ્રિજ નજીકથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી મનીષ પ્રેમચંદ તિવારીને સ્પેશિયલ NDPS કોર્ટે 10 વર્ષની સખત કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો.
અમદાવાદ : કેસ અંગે વિગતો એવી છે કે 12 માર્ચ 2017ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેડીલા બ્રિજ નજીક એક શખ્સ જાહેરમાં ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાત્રી દરમિયાન ઉત્સવ પાર્ટી પ્લોટ પાસે આવેલા બંધ મકાન સામે જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન મનીષ તિવારી નામનો શખ્સ મોટી માત્રામાં ગાંજો રાખીને છૂટકમાં વેચાણ કરતો ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપી પાસેથી અંદાજે 18 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની બજારકિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે જરૂરી કાર્યવાહી કરી આરોપીને ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર તપાસ પૂર્ણ કરીને આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે કોર્ટ સમક્ષ મજબૂત દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓ રજૂ કર્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી મનીષ તિવારીનો ગુનાઇત ઇતિહાસ છે અને તે અગાઉ હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. આવા આરોપીઓ ગુનાઓ કરવા ટેવાયેલા હોય છે અને સમાજ માટે ગંભીર ખતરો બને છે, તેવી દલીલ પણ કરવામાં આવી હતી. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જરૂરી FSL સર્ટિફિકેટ અને તમામ કાનૂની દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યા છે. હાલ ડ્રગ્સની બદી સતત વધી રહી છે અને તેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં કાયદાનો કડક અમલ થાય અને સમાજમાં સ્પષ્ટ સંદેશ જાય તે માટે આરોપીને સખતમાં સખત સજા આપવામાં આવવી જરૂરી છે.
બંને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાનમાં લીધા બાદ સ્પે. એનડીપીએસ જજ વી. બી. રાજપૂત સાહેબની કોર્ટે આરોપી મનીષ પ્રેમચંદ તિવારીને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓના કારણે યુવાધન નશાની લતમાં ફસાઈને બરબાદ થઈ રહ્યું છે. જ્યારે આરોપી સામેનો કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા ગુનેગારો સામે કોઈ પણ પ્રકારની દયા દાખવી શકાય નહીં. સમાજમાં કાયદાનો ભય ઉભો થાય અને અન્ય લોકોને દાખલો મળે તે માટે સખત સજા જરૂરી છે. આ ચુકાદાને ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.
Ahmedabad,Gujarat

