Madhya Pradesh Spurious Liquor Loss of life Case : મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બંડા તાલુકાના ચાર ગામોમાં શનિવાર રવિવારની મધ્યરાત્રિએ કથિત નકલી દારૂ પીવાથી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. સાગરના ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર (CMHO) દેવેશ પટેરિયાએ બંડામાં પત્રકારોને જણાવ્યું હતું કે નકલી દારૂ પીવાથી 9 થી 10 લોકોના મોત થયા છે. પાંચ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સાગર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં નકલી દારુ પીવાથી 13 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં લઠ્ઠાકાંડના થોડાક દિવસો બાદ પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ લઠ્ઠાકાંડની ઘટના બની છે.
સાગરના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતિભા પાલે પત્રકારોને જણાવ્યું હતું કે, તે જરૂરી નથી કે ઝેરી દારૂ પીવાના કારણે મોત થયા હોય. “કેટલાક લોકો બીમાર પડ્યા છે અને કેટલાકનું મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. નૌરાજ અને ઘૂધર સહિતના ઓળખાયેલા વિસ્તારોમાં ડોકટરો અને અધિકારીઓની નિરીક્ષણ ટીમો તૈનાત કરવામાં આવી છે. ”
જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસની સલાહ આપી
જિલ્લા મેજિસ્ટ્રેટે ગ્રામજનોને અપીલ કરી હતી કે છેલ્લા 24 થી 48 કલાક દરમિયાન કોઈ પણ પ્રકારનો દારૂ પીનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાય છે, તો તેને તાત્કાલિક ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે, વહીવટીતંત્ર આવા તમામ કેસો પર નજર રાખી રહ્યું છે અને તપાસના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ”
બંડાના પૂર્વ ધારાસભ્યએ કરી અપીલ
બંડાના પૂર્વ ધારાસભ્ય તરવાર લોધીએ દાવો કર્યો હતો કે, ઝેરી દારૂ પીવાથી 9 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે બંદા બ્લોકના બેરેજ, ઘુઘર, નૌરાજ અને નજીકના ગામોમાં રહેતા ઘણા લોકોએ શનિવારે રાત્રે દારૂ પીધો હતો, ત્યારબાદ તેમની તબિયત અચાનક બગડવા લાગી હતી. પરિવારના સભ્યો તેને સારવાર માટે બંડાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોકટરોએ ઘણા લોકોને મૃત જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે બંદા સિવિલ હોસ્પિટલમાં ચારથી પાંચ લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ચારથી પાંચ લોકોને સાગર મોકલવામાં આવ્યા છે.
તરવર લોધીએ લોકોને અપીલ કરી હતી કે, જે લોકોએ છેલ્લા બે-ત્રણ દિવસમાં બંડા વિસ્તારમાં કોઈ દુકાન અથવા ગેરકાયદેસર દારૂ વેચનાર પાસેથી દારૂ ખરીદ્યો છે અને તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા અનુભવાઈ રહી છે, તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચે અને ડોક્ટરની તપાસ કરાવે.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતિભા પાલ અને પોલીસ અધિક્ષક અનુરાગ સુજાનિયાની આગેવાની હેઠળની પ્રશાસન અને પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે. અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ બે વ્યક્તિના મોત, કુલ મૃત્યુઆંક 13 થયો
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ બે વ્યક્તિના મોત થયા છે. આ સાથે લઠ્ઠાકાંડ ઘટનાનો મૃત્યુઆંક 13 થયો છે. ઝેરી દારુ પીનાર મૂળ મહીસાગરના મુકેશ ડામોરે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
