Vaibhav Sooryavanshi : IPL 2026 માં વૈભવ સૂર્યવંથી રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી ક્રિકેટ મેચ રમી રહ્યો છે. આઈપીએલ મેચમાં વૈભવની ધુરંધર બેટિંગે સૌને ચોંકાવી દીધા છે. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા વિશે અટકળો ચાલી રહી છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ દરમિયાનમાં ચેતેશ્વર પુજારા અને હરભજન સિંહ વચ્ચે પણ સૂર્યવંશીને ટીમમાં લાવવાના મુદ્દે ખાસ ચર્ચા થઈ છે.
હકીકતમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં વરસાદના કારણે વિક્ષેપ પડ્યો હતો અને આ દરમિયાન બ્રેકમાં પુજારા અને હરભજન વચ્ચે ચર્ચા થઈ હતી.
સ્ટાર સ્પોર્ટસના લાઈવ શોમાં વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં લાવવાની પ્રક્રિયા વિશે ચર્ચા થઈ ત્યારે ભારતના બંને લેજન્ડરી ક્રિકેટરોના જુદા જુદા મંતવ્ય હતા. આ દરમિયાન હરભજન સિંહ અને ચેતેશ્વર પુજારા વચ્ચે રસપ્રદ ચર્ચા થઇ હતી. તેમા કોઈ વિવાદ ન હતો, પરંતુ બંનેએ એકબીજાના અભિપ્રાયો સાથે અસહમત હોવા છતાં ખૂબ જ સરસ રીતે ચર્ચા કરી. ચાલો જાણીએ આ મુદ્દે બંનેના અભિપ્રાય શું છે?
વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં સામેલ કરવો જોઇએ?
ચેતેશ્વર પુજારાનું શું કહેવું છે?
ચેતેશ્વર પુજારાએ આ દરમિયાન સ્પષ્ટપણે કહ્યું હતું કે, વૈભવને થોડી રાહ જોવી પડશે. કારણ કે પુજારાનું માનવું છે કે, ટીમમાં ઓપનિંગ અને ટોપ ઓર્ડરમાં ઘણા મજબુત બેટ્સમેનો છે. તો બીજી બાજુ, શુભમન ગિલ બહાર છે અને યશસ્વી જયસ્વાલ તકની રાહ જોઈ રહી છે. આ રીતે પુજારાનું માનવું છે કે, વૈભવે રાહ જોવી પડશે. જો કે તેણે કહ્યું કે, જો કોઈ ખેલાડી સતત ફ્લોપ રહે તો વૈભવને તક આપી શકાય છે.
હરભજન સિંહનો અભિપ્રાય શું છે?
વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા અંગે હરભજન સિંહનો અભિપ્રાય પુજારાથી તદ્દન વિપરીત હતો. હરભજનનું માનવું છે કે અત્યારે તેનું ફોર્મ શાનદાર છે અને જો તમે તે 18 વર્ષનો થાય ત્યાં સુધી રાહ જુઓ અને પછી તેનો ગ્રાફ પડી જાય તો તેનો કોઈ અર્થ નથી. આવી સ્થિતિમાં ભજ્જીનું માનવું છે કે, વૈભવને અત્યારે ટીમમાં લાવવો જોઈએ, તેને મેદાનમાં પર તક મળવી જોઈએ અને જો કોઈ ખેલાડી નિષ્ફળ જાય તો તેણે પણ મેચ રમવી જોઈએ.
આ પણ વાંચો | 15 વર્ષનો ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ક્યા ધોરણમાં ભણે છે? કેટલી સંપત્તિ છે?
વૈભવ સૂર્યવંશીનું એક વર્ષમાં ધુરંધર પર્ફોર્મન્સ
વૈભવ સૂર્યવંશીએ ગત વર્ષે 14 વર્ષની ઉંમરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું ત્યારે જ ધુરંધર પર્ફોર્મન્સ આપી સૌને ચોંકાવી દીધા હતા. તેણે અમુક મેચ રમી હતી અને 35 બોલમાં સદી ફટકારી હતી. જે પછી વૈભવે ઈન્ડિયા એ, ઈન્ડિયા અંડર 19, બિહાર સહિતની તમામ ટીમો માટે શાનદાર બેટિંગ કરી હતી. અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં વૈભવની 175 રનની ઈનિંગ ચર્ચાનો વિષય બની હતી. આ જ કારણ છે કે આજે આ 15 વર્ષનો ક્રિકેટર ખેલાડી ચર્ચાનો ભાગ છે, તેને ટીમ ઈન્ડિયામાં સામલ કરવાનો યોગ્ય સમય ક્યારે આવશે? હાલ વૈભવ સૂર્યવંશીના પરિવારજનો અને ક્રિકેટ ચાહકો તેની રાહ જોઈ રહ્યા છે.
