2026 Males’s T20 World Cup : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ને રમત મંત્રાલયે સૂચના આપી છે કે, તે તેની ટીમની ટી 20 વર્લ્ડ કપ લીગ મેચોને ભારત માંથી શ્રીલંકા ખસેડવાનો પ્રયાસ કરે. બીસીસીઆઈ ની સૂચનાઓ પર મુસ્તફિઝુર રહેમાનને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 (આઈપીએલ 2026)માંથી બહાર કરવામાં આવ્યા બાદ તેણે ખેલાડીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં આઇપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની પણ તૈયારી છે.
બાંગ્લાદેશનો બોલર મુસ્તફિઝુર KKR ટીમ માંથી બહાર
શાહરૂખ ખાનની આઇપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)એ બાંગ્લાદેશના ડાબોડી ફાસ્ટ બોલર મુસ્તફિઝુરને રિલિઝ કરી દીધો છે, જેને ગત મહિને અબુધાબીમાં યોજાયેલી હરાજીમાં 9.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. બીસીસીઆઈના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશ સરકારે BCBને નિર્દેશ આપ્યો
આ ઘટના બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તાકીદની મિટિંગ યોજી હતી. બોર્ડના ચેરમેન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અમીનુલ ઈસ્લામ બુલબુલે કોઈ જાહેરમાં નિવેદન આપવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે સરકારના સલાહકાર આસિફ નઝરુલે કહ્યું કે, તેમણે બોર્ડને જય શાહની આગેવાની હેઠળની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)માંથી બાંગ્લાદેશની ચાર લીગ મેચો શ્રીલંકા ખસેડવા જણાવ્યું છે. જેમાંથી ત્રણ મેચ કોલકાતામાં અને એક મેચ મુંબઈમાં યોજાવાની છે.
બાંગ્લાદેશની વર્લ્ડ કપની મેચ શ્રીલંકામાં યોજવા સૂચન
નઝરુલે તેના ફેસબુક પેજ પર બંગાળીમાં લખ્યું છે કે, રમત મંત્રાલયના પ્રભારી સલાહકાર તરીકે મેં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને નિર્દેશ આપ્યો છે કે તે સમગ્ર મામલો લેખિતમાં રજૂ કરે અને તેને આઇસીસી ને જણાવે. બોર્ડે સ્પષ્ટતા કરવી પડશે કે, જો બાંગ્લાદેશી ક્રિકેટર કોન્ટ્રાક્ટ હોવા છતાં ભારતમાં રમી શકતો નથી, તો બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમ વર્લ્ડકપ રમવા માટે ભારત જઈને સલામત અનુભવી શકે તેમ નથી. મેં બોર્ડને પણ સૂચન આપ્યા છે કે, તેઓ ઔપચારિક વિનંતી કરે કે બાંગ્લાદેશની વર્લ્ડ કપની મેચો શ્રીલંકામાં યોજવામાં આવે.”
સ્થળ બદલવું અશક્ય છે
બીસીસીઆઇના એક સૂત્રએ કહ્યું કે, ટુર્નામેન્ટ શરૂ થવામાં માત્ર એક મહિનો જ બાકી છે, ત્યારે સ્થળ બદલવું અશક્ય છે. “તમે કોઈની ઇચ્છા અને કલ્પનાઓ અનુસાર મેચ બદલી શકતા નથી. લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ આ એક મોટી સમસ્યા છે. વિરોધી ટીમો વિશે વિચારો. તેમની એર ટિકિટ અને હોટલ બુક કરાવવામાં આવી છે. સાથે જ તમામ દિવસોમાં ત્રણ-ત્રણ-ત્રણ મેચ હોય છે, જેનો અર્થ એ થયો કે એક મેચ શ્રીલંકામાં છે. બ્રોડકાસ્ટ ક્રૂ પણ છે. તેથી આમ કહેવું સરળ છે પણ તે કરવું મુશ્કેલ છે. ”
ભારત બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ
ભારત સાથેના ખરાબ સંબંધોને કારણે પાકિસ્તાન એક કરાર હેઠળ તેની વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં રમશે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને હટાવ્યા બાદ ભારત બાંગ્લાદેશના સંબંધો બગડ્યા છે. ગત વર્ષે ઓગસ્ટમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ હસીનાએ ભારતમાં આશરો લીધો હતો. જોકે બીસીસીઆઇએ મુસ્તફિઝુર રહેમાનની મુક્તિની માંગ કરવાના નિર્ણય અંગે હાલની રાજકીય પરિસ્થિતિનો સીધો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તેણે કહ્યું હતું કે તાજેતરના ઘટનાક્રમોને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં હસીનાને હટાવ્યા બાદ હિંદુઓ હિંસક હુમલાઓનું ભોગ બની રહ્યા છે.
શું બાંગ્લાદેશમાં IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે?
નઝરુલે એમ પણ કહ્યું હતું કે તેમણે બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રાલય (આઈ એન્ડ બી) ના સલાહકારને બાંગ્લાદેશમાં આઈપીએલનું પ્રસારણ બંધ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, “મેં માહિતી અને પ્રસારણ સલાહકારને વિનંતી કરી છે કે બાંગ્લાદેશમાં પણ આઈપીએલનું પ્રસારણ બંધ કરવામાં આવે. કોઈ પણ સંજોગોમાં અમે બાંગ્લાદેશી ક્રિકેટ, ક્રિકેટરો અથવા બાંગ્લાદેશનું કોઈ પણ અપમાન સહન કરીશું નહીં. ગુલામીના દિવસો હવે પૂરા થઈ ગયા છે. ”
BCB એ BCCI પાસેથી જવાબ માંગ્યો
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઢાકામાં પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ પરિસ્થિતિએ આટલો વળાંક લીધો હોવાથી બીસીબીની કોરિડોરમાં થોડો અવિશ્વાસ છે.
બીસીબીના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બીસીબીએ ભારતના બાંગ્લાદેશ પ્રવાસનો કાર્યક્રમ જાહેર કર્યો હતો કારણ કે ત્યાં સકારાત્મક વાતાવરણ હતું, પરંતુ હવે અમને ભારતીય બોર્ડ તરફથી સત્તાવાર પુષ્ટિની જરૂર છે કે મુસ્તફિઝુરનો કરાર કેમ રદ કરવામાં આવ્યો હતો. હજુ સુધી બીસીસીઆઈએ બીસીબીને સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી. સત્તાવાર માહિતી મળ્યા બાદ જ બીસીબી આગળનો નિર્ણય લેશે. ”
