Assam Meeting Election 2026 Pradyut Borodoloi : આસામ વિધાનસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. નાગાંવ લોકસભા બેઠકના કોંગ્રેસ સાંસદ પ્રદ્યુત બોરોડોલોઈ એ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. આશ્વર્યની વાત તો એ છે કે રાજીનામું આપ્યાના બીજા જ દિવસે બુધવારે તે ભાજપમાં જોડાયા છે.
નાગાંવ બેઠક પરથી બે વખત સાંસદ અને રાજ્યમાં તરુણ ગોગાઊના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં મંત્રી પદે રહી ચૂકેલા પ્રદ્યુત બોરડોલોઈ અસમ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક છે. બુધવારે બપોરે દિલ્હી ખાતે આસામ ભાજપ અધ્યક્ષ દિલીપ સૈકિંયા, આસામ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા સહિતની ઉપસ્થિતિમાં પ્રદ્યુત બોરોડોલોઈ ભાજપમાં જોડાયા.
પ્રદ્યુત ભાજપમાં જોડાતાં આસામ CM હિમંતા સરમાએ કહ્યું કે, આસામ ભાજપ આગામી ચૂંટણીમાં બોરોડોલોઈને ઉમેદવાર બનાવવા માટે ભલામણ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, બોરોડોલોઈના ભાજપમાં આવવાથી તે પાર્ટીને વધુ મજબૂત બનાવશે.
ભાજપમાં જોડાતાં પ્રદ્યુત બોરોડોલોઈ શું બોલ્યા?
ભાજપમાં જોડાયા બાદા મીડિયા સાથે વાત કરતાં પ્રદ્યુત બોરોડોલોઈએ કહ્યું કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનો આ નિર્ણય મારા જીવનનો સૌથી કઠીન નિર્ણય હતો. આસામના હિતમાં આ નિર્ણય લીધો છે. કોંગ્રેસ પર આરોપ મુકતાં તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં તેમને અપમાનિત કરાતા હતા અને નિર્ણય લેવાની પ્રક્રિયાથી પણ બાકાત રખાતા હતા.
કેમ પ્રદ્યુત બોરોડોલોઈ કોંગ્રેસથી નારાજ હતા ?
બોરોડોલોઈએ તાજેતરમાં આસામ કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જિતેન્દ્ર સિંહને પત્ર લખ્યો હતો કે, જો લાહૌરીઘાટના વર્તમાન ધારાસભ્ય આસિફ મોહમ્મદ નજરને આ વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ઉમેદવાર બનાવવામાં આવશે તો તે પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે. તેમણે આ પત્રમાં એ પણ આરોપ લગાવ્યો હતો કે, નજરના અંગત સહયોગી ઇમદાદુલ ઇસ્લામ એમના પર અને પાર્ટીના અન્ય નેતાઓ પર થયેલ હુમલામાં સામેલ હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ થઇ હતી.
રાજ્યસભાના વિદાય ભાષણ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – દેવગૌડાએ મોહબ્બત હમસે કી ઔર શાદી મોદી સાહેબ કે સાથ
અસમમાં 9 એપ્રિલે મતદાન
અસમમાં આગામી 9 એપ્રિલના રોજ તમામ 126 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. 4 મેના રોજ પરિણામ જાહેર થશે. હાલ રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં NDA સરકાર છે અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા છે. 2021ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધને 75 બેઠકો જીતી હતી, જેમાં ભાજપને 60 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને AIUDFના ગઠબંધનને માત્ર 16 બેઠકો મળી હતી.
