Final Up to date:
વસૂલાતને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકવામાં આવેલી વ્યાજ માફી યોજના 2025-26 હેઠળ વર્ષના પહેલા મહિના જાન્યુઆરી દરમિયાન જ નોંધપાત્ર સફળતા મળી છે.
અમદાવાદ: વસૂલાતને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકવામાં આવેલી વ્યાજ માફી યોજના 2025-26 હેઠળ વર્ષના પહેલા મહિના જાન્યુઆરી દરમિયાન જ નોંધપાત્ર સફળતા મળી છે. આ યોજના અંતર્ગત 1 જાન્યુઆરી 2026થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના તમામ સાત ઝોનમાંથી અંદાજિત કુલ રૂ.128.05 કરોડની નેટ આવક નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન દૈનિક કર વસૂલાત કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનનું પ્રદર્શન સૌથી વધુ રહ્યું છે.
કમિટીના ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઝોન પ્રમાણે આ આવકના આંકડાઓ મુજબ, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી રૂ. 28.38 કરોડની સર્વાધિક નેટ આવક નોંધાઈ છે. તેમજ પછી પશ્ચિમ ઝોનમાંથી રૂ.22.36 કરોડ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી રૂ. 17.77 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. મધ્ય ઝોનમાંથી રૂ.18.49 કરોડ, પૂર્વ ઝોનમાંથી રૂ.16.37 કરોડ, દક્ષિણ ઝોનમાંથી રૂ.13.47 કરોડ અને ઉત્તર ઝોનમાંથી રૂ.11.20 કરોડની નેટ આવક નોંધાઈ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કરદાતાઓ તરફથી આ યોજનાને અભૂતપૂર્વ અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
અંદાજિત 99,904 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. કુલ ગ્રોસ વસૂલાત રૂ.143.19 કરોડ રહી છે, જેમાંથી રૂ.15.14 કરોડની વ્યાજ માફી આપવામાં આવી છે અને અંદાજિત નેટ આવક રૂ.128.05 કરોડની AMCને પ્રાપ્ત થઈ છે. આથી વ્યાજ માફી આપીને પણ કર વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સ્પષ્ટ થયું છે.
ઇન્સેન્ટિવ રીબેટ યોજના લાગુ નહીં પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વ્યાજ માફી યોજનાથી એક તરફ બાકી મિલકત વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થવાની સાથે બીજી તરફ શહેરના કરદાતાઓને વ્યાજમાં મોટી આર્થિક રાહત મળશે.
રિકવરીના ડેટા મુજબ 31 જાન્યુઆરી 2026 સુધી પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને વેહિકલ ટેક્સમાંથી પ્રાપ્ત થયેલી આવકની ઝોન પ્રમાણે તેમજ વર્ષની તુલનાત્મક વિગતો મુજબ મિલકત કરમાં 2024-25 દરમિયાન રૂ.1745.61 કરોડની વસૂલાત સામે 2025-26માં 1 એપ્રિલ 2025થી અત્યાર સુધી રૂ.1493.62 કરોડ વસૂલાત નોંધાઈ છે. આ ઉપરાંત પ્રોફેશન ટેક્સમાં 2025-26માં અત્યાર સુધી અંદાજે રૂ.217.15 કરોડ અને વાહન કરમાં અંદાજે રૂ. 197.93 કરોડ જેટલી વસૂલાત નોંધાઈ છે.
Ahmedabad,Gujarat

