નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાને નોટિસ ફટકારી છે જેમાં ત્રણ વિદેશી નાગરિકો ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના દિલ્હી એરપોર્ટથી મ્યુનિક જવા રવાના થયા હતા. મંત્રાલયે એરલાઇનને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં સાત દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. મંત્રાલયે આ ઘટનાને પેસેન્જર-હેન્ડલિંગ સિસ્ટમમાં મોટી ખામી ગણાવી છે.
અહેવાલો અનુસાર આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ત્રણ મુસાફરો એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1115 દ્વારા લગભગ 12:50 વાગ્યે અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. લગભગ એક કલાક પછી તેઓ લુફ્થાન્સાની મ્યુનિક જતી ફ્લાઇટમાં ચઢ્યા અને રવાના થયા. જોકે આ સમય દરમિયાન ત્રણેય વ્યક્તિઓ ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થયા ન હતા.
આ પણ વાંચો: નાના વરાછામાં NRIના બંધ બંગલાની ગ્રીલમાં ફસાયો ચોર, લોકોએ ચખાડ્યો મેથીપાક, વાયરલ વીડિયો બાદ પોલીસ દોડતી થઈ
મંત્રાલય અને સિક્યુરિટી એજન્સીઓ એક્શનમાં
ઘટનાની જાણ થતાં જ બ્યુરો ઓફ ઈમિગ્રેશન અને સિવિલ એવિએશન મંત્રાલયમાં દોડધામ મચી ગઈ હતી. મંત્રાલયે એર ઈન્ડિયા પાસે આ મુદ્દે તાત્કાલિક જવાબ માંગ્યો છે કે આટલી મોટી ભુલ કયા સ્તરે થઈ અને જવાબદાર કર્મચારીઓ સામે શું કડક પગલાં લેવામાં આવ્યા છે. આ મામલે એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફ (CISF) અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓના પ્રોટોકોલની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
