મનોરંજન ન્યૂઝ | અભિનેતા રાજેશ કુમારે લોકપ્રિય ટેલિવિઝન સિરીઝ ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ માં રોશેશ સારાભાઈની ભૂમિકા ભજવીને દર્શકોના હૃદયમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. જોકે તેમની અભિનય કારકિર્દીની સફળતા વચ્ચે, તેમણે એક વખત એક એવો નિર્ણય લીધો જેણે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
તેમની લોકપ્રિયતાના શિખર પર તેમણે અભિનયમાંથી વિરામ લીધો અને ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ તે નિર્ણય તેમના જીવનમાં નાણાકીય કટોકટી, અપમાન અને મુશ્કેલ દિવસો લાવ્યો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ તે સમયનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.
રાજેશ કુમાર સંઘર્ષની સ્ટોરી
રાજેશે કહ્યું કે 42 વર્ષની ઉંમરે તેમણે અભિનય છોડી દીધો અને ખેતી શરૂ કરી. પરંતુ તે સાહસ સફળ ન થયું હતું. તેના બદલે, તેમણે પોતાની બધી બચત ગુમાવી દીધી. 2022 માં અભિનયમાં પાછા ફરતા પહેલા, તેમણે લગભગ પાંચ વર્ષ ભારે નાણાકીય અનિશ્ચિતતામાં વિતાવવા પડ્યા હતા.
અભિનેતાના શબ્દોમાં કહીએ તો, “ઘણા લોકો તેને નિષ્ફળતા કહેશે, પરંતુ મને લાગે છે કે તે ભગવાનના પ્લાનનો એક પાર્ટ હતો. આ થોડા વર્ષોમાં મેં જીવનનો વાસ્તવિક ચહેરો જોયો છે. મેં મારા પોતાના જીવનમાં અનુભવ કર્યો છે કે કેટલું દુઃખ, અપમાન અને વંચિતતા વ્યક્તિને બદલી શકે છે.”
તે સૌથી મુશ્કેલ સમયનું પણ નિખાલસતાથી વર્ણન કરે છે. રાજેશે કહ્યું કે “ક્રેડિટ કાર્ડના પૈસા ચૂકવી ન શકવા બદલ રિકવરી એજન્ટ મને સુરક્ષા ગાર્ડની સામે અપમાનિત કરતો. મારે મારી કાર વેચવી પડી હતી. ખેડૂતોને ચૂકવવા માટે પૂરતા પૈસા ન હોવાથી મને છેલ્લી કાર પણ સોંપવાની ફરજ પડી હતી.”
પરંતુ આ બધી પ્રતિકૂળતાઓ છતાં, તે માનસિક રીતે તૂટી પડ્યો નહીં. તે માને છે કે મુશ્કેલ અનુભવે તેને વધુ સેન્સિટિવ અને મેચ્યોર વ્યક્તિ બનાવ્યો હતો. રાજેશ કહે છે કે “મેં હતાશા કે નેગેટિવ વિચારોને હાર માની નહીં. તેના બદલે, આ સમયે મને લોકોને વધુ ઊંડાણપૂર્વક સમજવાનું શીખવ્યું હતું. આજે પાત્ર ભજવતી વખતે હું તેમની લાગણીઓને સરળતાથી સમજી શકું છું.”
Entertainment Updates । મનોરંજનના આજના મુખ્ય સમાચાર, 31 જુલાઈ 2026 ની તમામ અપડેટ્સ
બીજી તરફ પીઢ અભિનેતા પવન મલ્હોત્રાએ પણ આ જ ફિલ્મ ‘ઓહ માય ડોગ’ માં અભિનય કર્યો હતો. ચાર દાયકાના તેમના લાંબા કરિયરમાં અસંખ્ય યાદગાર ભૂમિકાઓ ભજવવા છતાં, ઘણા દર્શકો હજુ પણ તેમનો ચહેરો ઓળખે છે પરંતુ તેમનું નામ યાદ રાખી શકતા નથી. જોકે, તેઓ આને પોતાની સૌથી મોટી સિદ્ધિ માને છે.
પવન કહે છે, “ઘણા લોકો આવીને કહે છે, ‘મેં તમને તે ફિલ્મમાં જોયા હતા, મને તમારો અભિનય ગમ્યો.’ પછી તેઓ થોડીવાર વિચારે છે અને પૂછે છે, ‘સાહેબ, તમારું નામ શું છે?’ મારા માટે, આ અપમાન નથી, પણ સૌથી મોટી પ્રશંસા છે. તેનો અર્થ એ છે કે લોકો પાત્રને યાદ રાખે છે, અભિનેતાને નહીં.”
ફિલ્મના દિગ્દર્શક અમિત રાયની વાર્તા પણ ઓછી પ્રેરણાદાયક નથી. 2010 માં પહેલી ફિલ્મ રિલીઝ થયા પછી, તેમણે પોતાની બીજી મોટી ફિલ્મ ‘OMG 2’ બનાવવા માટે લગભગ 14 વર્ષ રાહ જોવી પડી. આ લાંબા સમયગાળા દરમિયાન, ઘણી પટકથાઓને પ્રશંસા મળી પરંતુ નિર્માતાઓનો ટેકો મળ્યો નહીં હતો.
