Parliament Monsoon Session 2026 : 20 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ રામ મંદિર દાન ચોરી, ઇથેનોલ મિશ્રણ પેટ્રોલ, પેપર લીક અને અન્ય મુદ્દાઓ ઉઠાવશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે જો સરકાર દ્વારા રજૂ કરવામાં આવે તો પાર્ટી સીમાંકન બિલનો સંપૂર્ણ તાકાત સાથે વિરોધ કરશે.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના અન્ય વરિષ્ઠ સાંસદોએ ગુરુવારે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી. જયરામ રમેશે કહ્યું કે છેલ્લી વખત સરકાર પરિસીમન બિલ પસાર કરવામાં નિષ્ફળ ગઈ હતી અને સંસદને લાંબા સમય સુધી તેની ચર્ચા કરવી પડી હતી.
પરિસીમન બિલ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી: કોંગ્રેસ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે આ મુદ્દે અમારો પક્ષ સ્પષ્ટ છે તેનો વિરોધ કરીશું. રિપોર્ટ્સના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે પરિસીમન બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે, જો કે અમને હજી સુધી આ વિશે જાણ કરવામાં આવી નથી. અમે આશા રાખીએ છીએ કે સર્વપક્ષીય બેઠકમાં અમને આ અંગે જાણ કરવામાં આવશે. જોકે આ માત્ર ઔપચારિકતા છે, કારણ કે આ બેઠકમાં 35-40 નેતાઓ બોલે છે, કેટલાક મંત્રીઓ સાંભળે છે, પરંતુ સૌથી ઉચ્ચ હોદ્દા પર બેઠેલા તે બે લોકો જે કરવા માંગે છે તે કરે છે.
જોકે જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ મહિલા અનામત બિલની તરફેણમાં છે અને ઇચ્છે છે કે તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે.
ટીએમસી અને અન્ય વિપક્ષી પાર્ટીઓની તૂટ સંવિધાનનું અપમાન
જયરામ રમેશે ટીએમસી અને અન્ય વિપક્ષી દળોના સાંસદોના પક્ષપલટાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે કેટલાક પાર્ટીઓ હવે તુટી ગઇ છે, પરંતુ આ બંધારણનું અપમાન છે. તેમ છતાં ભાજપને બે તૃતીયાંશ બહુમતી મેળવી શકશે નહીં. અમારા વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આ નેતાઓ સાથે સતત સંપર્કમાં છે.
ટીએમસીને વધુ એક મોટો ફટકો, રાજ્યસભા સાંસદ કોયલ મલ્લિકે રાજીનામું આપ્યું
કોંગ્રેસ ઇથેનોલનો મુદ્દો પણ ઉઠાવશે
કોંગ્રેસ નેતાએ કહ્યું કે વિપક્ષ સંસદમાં ઇથેનોલ મિશ્રણનો મુદ્દો ઉઠાવશે. ભાજપના એક ટોચના નેતા અને તેમનો પુત્ર તેમાં સામેલ છે. અમે આ મુદ્દે ચર્ચાની માંગ કરીશું.
જયરામ રમેશે નીટ અને અન્ય પરીક્ષાઓમાં ગેરરીતિઓ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની સીજેપીની માંગના સમર્થનમાં કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળ ઉપર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે છેલ્લા 45 દિવસથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છીએ. તે સાચું છે કે અન્ય લોકો પણ આવી માંગ કરી રહ્યા છે પરંતુ અમે અમારી માંગ ચાલુ રાખીશું.
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ ‘ફોરેન કંટ્રીબ્યૂશન (રેગુલેશન) એક્ટ’માં કરવામાં આવેલા સુધારાનો પણ વિરોધ કરશે.
