મધ્યપ્રદેશના મુરેનામાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે જ્યાં ભાગદોડ વચ્ચે ટ્રેન નીચે કચડાઈને ચાર લોકોના મોત થયા છે. ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ ગઈ હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના મુરેનાના હેતમપુર સ્ટેશન પર બની હતી.
વહીવટીતંત્ર ઘટનાસ્થળે હાજર છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાને કારણે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. ત્યારબાદ ઘણા મુસાફરો બાજુના ટ્રેક પર આવી રહેલી પાતાલકોટ એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા હતા. પરિણામે ચાર લોકોના મોત થયા હતા. ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ રવિવારે સાંજે 4:00 વાગ્યે મુરેનાથી ધોલપુર તરફ રવાના થઈ હતી.
એક મુસાફરે ચેઈન ખેંચી
આ ઘટના સાંજે 4:15 વાગ્યાની આસપાસ બની જ્યારે ટ્રેન નંબર 19665 (ખજુરાહો-ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ) હેતમપુર (HET)-ધોલપુર (DHO) વિભાગમાં ઉભી રહી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્જિન પાછળના બીજા કોચ (જનરલ કોચ) માં મુસાફરી કરી રહેલા એક મુસાફરે એલાર્મ ચેઈન (ACP) ખેંચી લેતા ટ્રેન રોકાઈ ગઈ હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, નોર્થ સેન્ટ્રલ રેલ્વે (NCR) ના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) શશીકાંત ત્રિપાઠીએ ચાર લોકોના મોતના અહેવાલની પુષ્ટિ કરી. એક નિવેદનમાં NCR એ નોંધ્યું છે કે, પ્રારંભિક માહિતી અનુસાર ટ્રેન રોકાઈ હતી ત્યારે કેટલાક મુસાફરો નીચે ઉતર્યા હતા અને નજીકના રેલ્વે ટ્રેક પર ચાલ્યા ગયા હતા.
ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજવાળા જહાજ સાથે દુર્ઘટના, 14 ક્રૂ સભ્યોની શોધ ચાલુ
રેલ્વેએ શું કહ્યું?
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “આ સમય દરમિયાન આમાંના કેટલાક મુસાફરો ‘અપ’ લાઇન પર આવી રહેલી ટ્રેન નંબર 20424 (ફિરોઝપુર-સિઓની પાતાલકોટ એક્સપ્રેસ) સાથે અથડાઈ ગયા હતા, જેના કારણે તેમના મૃત્યુ થયા હતા.” ઝોનલ રેલ્વેએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાના સમાચાર મળતાં જ રેલ્વે, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF), સરકારી રેલ્વે પોલીસ (GRP) અને સ્થાનિક વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અસરગ્રસ્ત મુસાફરોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “ઘટનાના ચોક્કસ કારણો અને સંજોગો શોધવા માટે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.” વધુમાં મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પરવાનગી વિના ટ્રેનમાંથી નીચે ન ઉતરે પછી ભલે તે ચાલુ હોય કે સ્થિર હોય અને તમામ સ્થાપિત રેલ્વે સલામતી નિયમોનું પાલન કરે.
