World Cup 2027 Crew India: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિને વનડે વર્લ્ડ કપ 2027 માટે ભારતીય વનડે કેપ્ટન શુભમન ગિલને ટીમ ઈન્ડિયા માંથી પડતો મૂકીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અશ્વિનનું માનવું છે કે આ વન ડે વર્લ્ડકપમાં વિરાટ અને રોહિતે ઓપનિંગ કરવી જોઈએ. વન ડેમાં રોહિત કે યશસ્વી સાથે ઓપનિંગ કરતી વખતે ગિલ કયા નંબર પર રમશે તે અંગે અશ્વિને વાત કરી નથી.
વિરાટ કોહલી પણ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે
રોહિત અને કોહલીના હાલના ફોર્મને જોતા અશ્વિને ઈચ્છા વ્યક્ત કરી છે કે, આ બંનેએ વન ડે વર્લ્ડ કપ 2027માં ભારત માટે ઈનિંગનો પ્રારંભ કરવો જોઈએ. અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘મને ખબર નથી કે ઇનિંગ્સ કોણ ઓપન કરશે, પરંતુ હું કહેવા માંગુ છું કે વિરાટ કોહલી કેમ નહીં. જ્યારે વિરાટ ટી-20માં ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે, તો પછી વન-ડેમાં કેમ નહીં. જો તે રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે તો તે સારું રહેશે.
ટી-20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા વિરાટ કોહલી સાથે ઈનિંગની શરૂઆત કરતો જોવા મળ્યો હતો, પરંતુ જો વન-ડેમાં પણ આવું કરવું હોય તો શુભમન ગિલને ટીમમાંથી બહાર રાખવો પડશે. ટોચના ચાર ખેલાડીઓ માટે પસંદ કરાયેલા નામોમાં અશ્વિને ક્યાંય પણ ભારતીય કેપ્ટનનો ઉલ્લેખ કર્યો નથી. તેણે કહ્યું કે, જો શ્રેયસ ઐયર વાઈસ કેપ્ટન તરીકે ટીમમાં પુનરાગમન કરે છે તો તે મીડલ ઓર્ડર માટે નક્કર વિકલ્પ છે, પરંતુ જો વિરાટને રોહિત સાથે ઓપનિંગ કરવાની તક મળે તો ઋતુરાજ ગાયકવાડ નંબર 3 પર ભારત માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
ઋતુરાજ નંબર 3 પર રમી શકે છે
અશ્વિને વધુમાં કહ્યું કે, જો વિરાટ-રોહિત ઈનિંગનો પ્રારંભ કરે તો ઋતુરાજ અને શ્રેયસ નંબર 3 અને 4 પર રમી શકે છે. તમને જણાવી દઈએ કે, ઋતુરાજ ગાયકવાડે સાઉથ આફ્રિકા સામેની ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પણ ભારતીય વાઈસ કેપ્ટનના પુનરાગમનને કારણે તેને આગામી શ્રેણીમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. ગાયકવાડ ઈનિંગને ઓપનિંગ પણ કરી શકે છે અને મીડલ ઓર્ડરમાં બેટીંગ પણ કરી શકે છે. આ કારણોસર રવિચંદ્રન અશ્વિન જેવા વિશ્લેષકોની નજરમાં તે વધુ સારો વિકલ્પ છે.
