Final Up to date:
ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધી રહેલા યુદ્ધસમાન તણાવની અસર હવે સીધી રીતે સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે. આ સ્થિતિનો સૌથી વધુ પ્રભાવ રાજકોટના ડ્રાયફ્રૂટ વેપારમાં પડ્યો છે. ઈરાનથી આવતાં ડ્રાયફ્રૂટના શિપમેન્ટમાં વિલંબ અને સપ્લાય ચેઇન ખોરવાતા ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ઈરાની પિસ્તા અને બદામના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે.
રાજકોટ: મિડલ ઈસ્ટમાં વધેલા યુદ્ધસમાન તણાવનો પ્રભાવ હવે સ્થાનિક બજારોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટના ડ્રાયફ્રૂટ વેપારમાં ઈરાનથી આવતાં માલ પર મોટી અસર પડી છે. આયાતમાં વિલંબ અને સપ્લાય ચેઇન ખોરવાતાં ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે લોકલ 18 સાથે વાત કરતા શહેરના જાણીતા ડ્રાયફ્રૂટ વેપારી દિપકભાઈએ જણાવ્યું કે હાલ ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર વેપાર પર પડી રહી છે. તેમને ઉપરથી સંદેશો મળ્યો છે કે ઈરાનથી નીકળતો ડ્રાયફ્રૂટનો માલ હવે 2થી 3 અઠવાડિયા મોડો પહોંચશે. યુદ્ધ કેટલો સમય ચાલે છે અને પરિસ્થિતિ કેટલી ગંભીર બને છે તેના પર આગળની સ્થિતિ નિર્ભર રહેશે.
દિપકભાઈ જણાવે છે કે હાલમાં ઈરાનમાંથી આવતાં તમામ પ્રકારના ડ્રાયફ્રૂટમાં ભાવ વધારો નોંધાયો છે. બજારમાં કિલોએ અંદાજે 300થી 500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ઈરાની પિસ્તા અને ઈરાની મામરા પર વધુ અસર જોવા મળી રહી છે. આયાતમાં વિલંબ અને અનિશ્ચિતતા વધતા વેપારીઓએ પણ સ્ટોક મર્યાદિત પ્રમાણમાં રાખવાનું શરૂ કર્યું છે. યુદ્ધ પહેલા મામરા બદામનો ભાવ કિલોનો અંદાજે 2800 રૂપિયાથી શરૂ થતો હતો, જે હવે સીધો 3600 રૂપિયાથી શરૂ થાય છે. એટલે કે માત્ર થોડા જ સમયમાં 700થી 800 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવવધારો માત્ર હોલસેલ માર્કેટમાં જ નહીં પરંતુ રિટેલ ગ્રાહકો સુધી પણ પહોંચ્યો છે.

વેપારીઓ જણાવે છે કે દુબઈની પરિસ્થિતિને કારણે આવક-જાવક બંને પર મોટી અસર થઈ રહી છે. ઘણા માલ દુબઈ મારફતે રી-એક્સપોર્ટ થાય છે. હાલના તણાવને કારણે શિપમેન્ટમાં વિલંબ, વધેલા ફ્રેઈટ ચાર્જ અને વીમા ખર્ચ વધતા વેપાર ખર્ચાળ બની ગયો છે. મસાલા સહિતનો અન્ય માલ પણ એક્સપોર્ટ માટે અટકી પડ્યો છે. ડ્રાયફ્રૂટ બજાર સામાન્ય રીતે તહેવારો અને લગ્ન સીઝનમાં વધુ ગતિમાન રહે છે. પરંતુ હાલની પરિસ્થિતિને કારણે ગ્રાહકો પણ ખરીદીમાં સાવચેતી રાખી રહ્યા છે. મોટા ઓર્ડર આપવા પહેલાં વેપારીઓ બજારની દિશા જોવાની રાહ જોઈ રહ્યા છે.
દિપકભાઈ જણાવે છે કે જો યુદ્ધ ટૂંકા ગાળામાં સમાપ્ત થશે તો બજાર ધીમે ધીમે સ્થિર થઈ શકે છે. પરંતુ જો પરિસ્થિતિ લાંબી ખેંચાશે તો ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. કારણ કે આયાત સંપૂર્ણપણે પરિસ્થિતિ પર આધારિત છે અને વિકલ્પ રૂપે અન્ય દેશોથી માલ મંગાવવો પણ ખર્ચાળ સાબિત થઈ શકે છે. આ રીતે વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવની અસર હવે સ્થાનિક બજારમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. ડ્રાયફ્રૂટ જેવા રોજિંદા અને તહેવારી વપરાશના માલમાં થયેલો વધારો સામાન્ય ગ્રાહકોના બજેટ પર પણ સીધી અસર પાડી રહ્યો છે. વેપારીઓ અને ગ્રાહકો બંને હાલ પરિસ્થિતિ સામાન્ય બનવાની રાહ જોઈ રહ્યા છે.
