Final Up to date:
ડિસેમ્બર 2024માં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પાર્સલ બોમ્બનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે કેસમાં આરોપી દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટે આરોપીની જામીન અરજીને ફગાવી દીધી છે.
અમદાવાદ: સાબરમતી ‘પાર્સલ બોમ્બ’ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી રૂપન બારોટને શંકા હતી કે તેની પત્નીના બલદેવભાઈ નામના વ્યક્તિ સાથે આડા સંબંધો છે. આ શંકા અને અદાવતના કારણે પત્ની પુત્ર સાથે પિયર જતી રહી હતી અને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા રૂપને બદલો લેવા માટે એક ખતરનાક કાવતરું ઘડ્યું હતું. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીએ YouTube સહિતના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી રિમોટ કંટ્રોલ બોમ્બ અને હથિયારો બનાવવાની રીતો સર્ચ કરી હતી. આ પછી તેણે પોતાના ઘરે જ વિસ્ફોટક પદાર્થો તૈયાર કરી, હત્યાના ઇરાદે પાર્સલ બોમ્બ બનાવ્યો હતો.
તારીખ 21 ડિસેમ્બર 2024ના રોજ, આરોપીએ તૈયાર કરેલો આ પાર્સલ બોમ્બ સહ-આરોપી ગૌરવ ગઢવી મારફતે બલદેવભાઈને મોકલ્યો હતો. જોકે, પાર્સલ અંગે શંકા જતાં બલદેવભાઈએ તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન અચાનક પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ ક્ષણોમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં ફરિયાદી, સહ-આરોપી ગૌરવ ગઢવી અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવ બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. આરોપી રૂપન બારોટની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપીએ જામીન માટે અરજી કરી હતી. આરોપી તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેને માત્ર શંકાના આધારે ફસાવવામાં આવ્યો છે અને તેની પાસેથી કોઈ મુદ્દામાલ રિકવર થયો નથી. તેમજ તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાથી તેને જેલમાં રાખવું ટ્રાયલ પૂર્વ સજા સમાન હોવાનું વકીલે જણાવ્યું હતું.
બીજી તરફ ફરિયાદ પક્ષના એડવોકેટ કેવીન પટેલ અને સરકારી વકીલ પી.એમ. ત્રિવેદીએ જામીનનો સખત વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આ એક સંપૂર્ણપણે સુનિયોજિત કાવતરું હતું. તપાસ અધિકારીના એફિડેવિટ મુજબ આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે કુલ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જો તેને જામીન આપવામાં આવે તો સાક્ષીઓને ધમકાવવાની કે પુરાવા સાથે ચેડાં કરવાની પૂરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ મજબૂત પુરાવા ઉપલબ્ધ છે. પત્ની સાથેના વિવાદનો બદલો લેવા માટે ઓનલાઈન માધ્યમોથી બોમ્બ અને પિસ્તોલ બનાવવાનું શીખી પાર્સલ બોમ્બ મોકલવો અત્યંત ગંભીર ગુનો છે. આરોપી સામે અગાઉના 14 અન્ય ગુનાઓ પણ નોંધાયેલા હોવાને ધ્યાનમાં રાખીને કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આવા આરોપીને જામીન આપી શકાય નહીં. પરિણામે, આરોપી રૂપન બારોટની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
Ahmedabad,Gujarat
Feb 17, 2026 11:09 PM IST

