દુનિયામાં અમેરિકાના વર્ચસ્વને સતત પડકાર મળી રહ્યો છે. ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ અનેક યુદ્ધ રોકાવાનો શ્રેય લઈ રહ્યા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે ન તો તેઓ યૂક્રેન રશિયા યુદ્ધ અટકાવી શક્યા છે, ન તો ઈઝરાયેલ હમાસ વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો છે. અધૂરામાં પૂરુ ઈરાન પણ અમેરિકાની એક પણ વાત સાંભળવા તૈયાર નથી. આ તમામ પરિસ્થિતિઓ અને બદલાતા આંતરરાષ્ટ્રીય સમીકરણો વચ્ચે એશિયાના બે મોટા ખેલાડીઓ ભારત અને ચીન સાથે આવવા તૈયાર છે. મંગળવારે બંને દેશોએ પોતાના સંબંધોને સ્થિર અને સકારાત્મક દિશામાં આગળ વધારવાનો સંકેત આપ્યો છે. બંને દેશોએ કહ્યું કે તેઓ એકબીજાને પ્રતિસ્પર્ધી નહીં, પરંતુ સહયોગી ભાગીદાર તરીકે જુએ છે. આ નિવેદન નવી દિલ્હીમાં થયેલી ભારત-ચીન વ્યૂહાત્મક વાટાઘાટ પછી સામે આવ્યું છે. આ વાટાઘાટમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને ચીનના કાર્યકારી ઉપ-વિદેશ મંત્રી મા ઝાઓશુએ ભાગ લીધો હતો.
Source link
