અલગ અલગ રાજ્યોમાં આવતી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના 35 IAS અધિકારીઓને નિરીક્ષક તરીકે મોકલવાની તૈયારી છે અને ગુરુવારે તમામ 35 આઇએએસને બ્રીફિંગ બેઠક માટે દિલ્હી બોલાવાયા હતા. પરંતુ સચિવાલયમાં ચર્ચા છે કે, સિનિયર અધિકારીઓ હવે ચૂંટણી ડ્યુટીથી દૂર રહેવા માગે છે અને જુનિયરોને આગળ કરી રહ્યા છે. તેઓને બળાપો છે કે હવે આટલા વર્ષે અમારે જ આ કથલા કૂટવાના હોય તો જુનિયરો શું કરશે? 2002થી 2015 બેચના 35 અધિકારીઓ ચૂંટણી પંચની બેઠકમાં હાજર રહ્યા છે. આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી માટે તેમને ડ્યુટી સોંપાઈ છે, જ્યારે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોને છૂટ અપાઈ છે.
ડે. સીએમએ કહ્યું તમે સાચા છો. પરિણામે હવે સમગ્ર રાજ્યમાં ‘જનસંપર્ક એકમ’ ખૂલશે. શરૂઆત ડીજીપી ઓફિસથી થશે. કોમન મેનનું કોઈ સાંભળતું જ નથી. આ વાત જાહેરમાં સ્વીકારવી અને ફરિયાદ નહીં પરંતુ એક સજેશનના સ્વરૂપમાં તેનો ઉકેલ રજૂ કરવો અને ગૃહ મંત્રી દ્વારા એના ઉકેલ માટે હકીકતમાં પ્રયત્નો થવા એ ગુજરાતની જનતા માટે એક આનંદના સમાચાર ચોક્કસ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગૃહ વિભાગ હવે નવો અભિગમ અપનાવી રહ્યો છે. નાગરિકોની ફરિયાદોને વધુ મહત્વ આપવા ‘જનસંપર્ક એકમ’ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. સંયુક્ત સચિવ સ્તરના અધિકારીને જવાબદારી સોંપાશે. ફરિયાદોની સાંભળવી, તેના પર કાર્યવાહી, મોનીટરીંગ અને ઉકેલ ન થતાં કેસો હવે ગૃહ સચિવ સુધી પહોંચશે.
કોરિડોરમાં ચર્ચા છે કે આ એકમથી ગૃહ વિભાગનું ગ્રાઉન્ડ કનેક્શન વધુ મજબૂત થશે. હાલ આ જનસંપર્ક કાર્યાલય માત્ર નવા સચિવાલયના ગ્રાઉન્ડ ફ્લોર પર અને ડીજીપી ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોર પર બનશે ત્યાર બાદ તમામ જિલ્લાઓમાં આવા જનસંપર્ક કાર્યાલયો બનાવાશે. નોંધનીય છે કે, આ મુદ્દે ક્રાઇમ કોન્ફરન્સમાં ડીઆઇજી દિપક મેઘાણીએ સાચું બોલવાની પહેલ કરી હતી, ને એમના જ સજેશનના આધાર પર સમગ્ર રાજ્યમાં હવે જનસંપર્ક કેન્દ્રો ખુલશે.
સિવિલ એવિયેશન વિભાગમાં સેક્રેટરી બદલાયા પણ ગુજરાતની એવિયેશન પોલિસી હજુ ફાઈલોમાં જ અટવાઈ છે. રાજેન્દ્ર કુમારના સમયથી પોલિસી પર કામ ચાલતું હતું. પરંતુ નવા સેક્રેટરી કુલદીપ આર્ય આવ્યા બાદ પણ પોલિસી જાહેર થઈ શકી નથી. સચિવાલયના કોરિડોરમાં ચર્ચા છે કે, ગયા વર્ષે જ લોન્ચ થવાની તૈયારી હતી અને સ્ટેકહોલ્ડરોમાં ખુશીનો માહોલ હતો. એર ટેક્સી જેવા નવા કન્સેપ્ટનો સમાવેશ ધરાવતો ડ્રાફ્ટ કેન્દ્ર સરકારને મોકલાયો છે, પરંતુ દિલ્હીથી હજી લીલી ઝંડી નથી. એક તરફ એરપોર્ટ, હેલિપેડ અને હેલિપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારાઈ રહ્યું છે, બીજી તરફ ઉદ્યોગ જૂથો પોલિસીની રાહ જોઈને બેઠા છે. રાજકોટની રિજનલ કોન્ફરન્સમાં જાહેરાત થવાની વાત હતી, પરંતુ મંજૂરી ન મળતા અધિકારીઓને ગોળ-ગોળ જવાબ આપવા પડ્યા.
હજુ સુધી 2010ના ડીઆઇજીના પોસ્ટિંગ પેન્ડિંગ છે અને તેઓ લગભગ છેલ્લા 4 મહિનાથી ડ્યુટી વગર નવરા ફરે છે. છેલ્લા દસ દિવસમાં તો 2010ની આખી બેચે ભેગા મળીને ડેપ્યુટી સીએમને ટ્રાન્સફર આપવા – કામ આપવા રજૂઆત પણ કરી હતી. જેને પગલે ક્રાઇમ કોન્ફરન્સમાં ઉઠાવાયેલા એક મુદ્દાના અમલીકરણ માટે ડે.સીએમે તમામને કામે લગાડ્યા છે અને એ મુદ્દો છે. જેને કોઈ નથી સાંભળતું એવા ફરિયાદીઓને સાંભળવાનો ક્રાઇમ કોન્ફરન્સમાં આ મુદ્દો પણ આઇપીએસ દિપક મેઘાણીએ રજૂ કર્યો હતો. જે અનુસાર હવે નાગરિકોની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં અટકી ન રહે તે માટે ગૃહ વિભાગે કડક સૂચના આપી છે. DIG, IG, ADGP સહિતના ઉચ્ચ અધિકારીઓને નિયમિત પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી ફરજિયાત કરાઈ છે. વર્ષમાં ઓછામાં ઓછા બે દિવસ નક્કી પોલીસ સ્ટેશનોમાં જઈને ફરિયાદીઓ સાથે સીધો સંપર્ક સાધવાનો રહેશે.
PG Portal, SWAGAT, CMO SWAGAT, MP-MLA Reference જેવી તમામ ફરિયાદોની સમીક્ષા કરવી પડશે. અરજી પેન્ડિંગ રહેશે તો જવાબદારી નક્કી થશે. ટૂર પ્રોગ્રામ બનાવી અમલ કરવાની અને દરેક મુલાકાત બાદ રિપોર્ટ DGP તથા ગૃહ વિભાગને મોકલવાની સ્પષ્ટ સૂચના છે. જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરો પર મોનીટરીંગની વધારાની જવાબદારી આવી છે. હાલ આ માટે જેઓને એક સ્થાને ત્રણ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે તેવા વેઇટીંગ ફોર ટ્રાન્સફર આઇપીએસ સહિત ૨૦૧૦ ની બેચના તમામ નવરા આઇપીએસ ઓ ને જવાબદારી સોંપાઈ છે.
ટુરિઝમ વિભાગે દ્વારકા, સોમનાથ, અંબાજી અને ડાકોર આ ચાર યાત્રાધામોની કોરિડોર બનાવવાનું પ્લાનિંગ હાથ ધરેલું છે. જે અનુસાર દ્વારકાને કૃષ્ણ નગરી તરીકે ઓળખ આપવાની તૈયારી પાઇપલાઇનમાં છે અને ભવનાથ મેળાને મીની કુંભના સ્તરે લઈ જવાની કવાયત ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ સાધુ-સંતો સાથે ચર્ચા કરી રહ્યા છે. હાલ પ્રાયોરિટી પર ભવનાથનો મેળો છે. અલૌકિક નગર પ્રવેશ, નગરયાત્રા, થીમ આધારિત સજાવટ અને લાઇવ સ્ટ્રીમિંગનો પ્લાન છે. 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન આ મેળો યોજાશે. કોરિડોર મોડલથી દ્વારકા, ડાકોર અને અંબાજીને જોડવાની તૈયારી છે. દ્વારકાને નેશનલ નહીં, ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન તરીકે જોવામાં આવી રહ્યું છે.
વાહન વ્યવહાર કમિશનર રાજેન્દ્ર કુમારની આગેવાની હેઠળ રાજ્યમાં છ નવી ટ્રાન્સપોર્ટ સર્વિસ લોન્ચ થવાની શક્યતા છે. હાલ 47 સર્વિસ ચાલે છે — લાયસન્સ, વાહન નોંધણી અને પરમીટ સંબંધિત. નવી સર્વિસમાં ઓટોમેશન, AI અને IT સોલ્યુશનનો ભાર રહેશે. મશીનો નક્કી કરશે, માનવીય દખલગીરી ઘટશે. એજન્ટો અને કમિશન સિસ્ટમને ઝટકો પડશે તેવી ચર્ચા છે. પરિવહન અને સારથી પોર્ટલ પહેલેથી જ મોટાભાગની સેવાઓ ઓનલાઇન આપી રહ્યા છે. જ્યારે હવે નવી પહેલ એઆઇ જનરેટેડ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટથી કરાશે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા મા સૌથી ઓછું હ્યુમન ઇન્ટરફરન્સ રહેશે.
અમદાવાદની બેકાબૂ ટ્રાફિક સમસ્યા વચ્ચે ઇન્ચાર્જ રેન્જ IG વિધિ ચૌધરીએ અલગ રસ્તો અપનાવ્યો છે. ખાનગી કંપનીના CSR ફંડથી ટ્રાફિક સોલ્યુશન તૈયાર કરવાની યોજના છે. એક ખાનગી વેહીકલ કંપની દ્વારા ટ્રાફિક મોડલ તૈયાર થશે, જેમાં રોડ એન્જિનિયરિંગ, એક્સિડેન્ટ પ્રોન ઝોન અને સિસ્ટમેટિક ટ્રાફિક કન્ટ્રોલનો સમાવેશ રહેશે. સાઇટ વિઝિટ બાદ સોલ્યુશન સૂચવાશે, જ્યારે અમલીકરણ અમદાવાદ પોલીસ કરશે. કોરિડોરમાં ચર્ચા છે કે લાંબા સમય બાદ કોઈ અધિકારી શહેરના ટ્રાફિકને ગંભીરતાથી લઈ રહ્યો છે.
પોલીસ આવાસ નિગમે આધુનિક સુવિધાવાળા ક્વાર્ટર્સ બનાવ્યા, પાઇપલાઇન ગેસ સુધીની વ્યવસ્થા કરી, પરંતુ હવે બિલ ન ભરવાની સમસ્યા સામે આવી છે. નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે ગેસ, વીજળી, પાણીની સુવિધાઓ રાજ્ય સરકાર બંધ કરી શકે એમ નથી, ગુજરાત ગેસના કનેક્શન ધરાવતા હજારો કોન્સટેબલો ગેસનું બિલ જ નથી ભરતા. એટલે વિભાગ મુશ્કેલીમાં છે. બાકીદારોને તાકીદ કરવી પડી છે. અધિકારીઓ માને છે કે, જીવન આવશ્યક સેવાઓ માટે તો પોલીસ પરિવારોએ જવાબદારી બતાવવી જ જોઈએ. પણ છેવટે પોલીસ તો પોલીસ છે. હપ્તાખોરી અને મફતિયું ખાવા ટેવાયેલા કેટલાક કર્મચારીઓને કારણે – તમામ પોલીસ કર્મચારીઓ બદનામ થાય છે.
