Final Up to date:
ગુજરાતીમાં કહેવાય છે કે, ‘પહેલો સગો તે પાડોશી’, તે પછી ઘરના નજીક હોય કે ખેતરના નજીક. પણ અહીં તો એક અલગ વાત બની છે. ખેતરના શેઢા પાડોશીઓએ સાથે મળી અને લાકડીના ઘા ઝીંકીને પાડોશીને જ મોતને ઘાટ ઉતારી દીધો તેવી એક ઘટના સામે આવી છે, તો આવો જાણીએ શું છે આ હત્યાના બનાવની વિગતો…
દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામ વાલા સોનગરાને તેના જ પાડોશીઓએ લાકડી તેમજ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. મૃતકના પુત્ર દામાભાઈ સોનગરાએ આ મામલે ભોપાલકા ગામના આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓમાં રમેશ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ, રમીલાબેન જયસુખભાઈ રાઠોડ, ટપુ મનજીભાઈ રાઠોડ, દામા મનજીભાઈ રાઠોડ, દેવશી મનજીભાઈ રાઠોડ અને મુકેશ દામાભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.
બનાવની જાણકારી આપતા દ્વારકા DySP સાગર રાઠોડે જણાવ્યું કે, કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામેથી મારામારીની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ પોલીસે ત્યાં મૃત હાલતમાં પુરુષનો મૃતદેહ દેખાયો હતો. જે બાદ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, રમેશ રાઠોડ, સામુબેન રમેશ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ, રમીલાબેન જયસુખભાઈ રાઠોડ એમ ચાર વ્યક્તિએ ભેગા મળીને મૃતકને લાકડી વડે માર માર્યો હતો. જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને મૃત્યુ થયું હતું. આટલી માહિતી મળતા જ પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
હત્યા પાછળનું કારણ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક દેવરામભાઈએ છેલ્લા બે વર્ષથી રણમલ જેઠાભાઈ રાઠોડની જમીન ભાગે રાખી વાવેતર કરતા હતા. આમ જ આશરે બે મહિના પહેલા મૃતક દેવરામ સોનગરાએ પોતાના ખેતરમાં જીરુનું વાવેતર કર્યું હતું. પરંતુ કોઈ કારણસર જીરાનો પાક બળી ગયું હતું. જે બાબતે મૃતક દેવરામભાઈને શંકા હતી કે, તેમના પાડોશી રમેશ રાઠોડ અને તેના પરિવારજનોએ જીરુંના પાકમાં કેમિકલ વાળી દવા છાંટીને તેને બાળી નાખ્યો છે. આ બાબતે બંને પક્ષો વચ્ચે છેલ્લા બે મહિનાથી મનદુ:ખ ચાલતું હતું. અંતે આરોપીઓએ રાત્રીના સમયે મૃતક દેવરામ સોનગરાને માથાના ભાગે લાકડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા.
મૃતકના પરિજનોએ શું કહ્યું?
આ મામલે મૃતકના ભત્રીજા ડાયાભાઈ સોનગરાએ પણ આરોપીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મારા કાકા દેવરામભાઈએ જીરું વાવ્યું હતું. તે જીરાનો પાક એકદમ સારો હતો. પરંતુ એક દિવસ અચાનક આ પાક બળી ગયો હતો. જેથી કાકા દેવરામભાઈએ પાકમાં કેમિકલ વાળી દવા છાંટી હોવાની શંકાને આધારે આરોપીઓ સામે પોલીસ સમક્ષ ફરિયાદ પણ નોંધાવી હતી. જ્યારે મૃતકના પુત્ર દામાભાઈ સોનગરાએ પણ પિતાની જેમ જ આરોપીઓ પર આક્ષેપ કરતા ન્યાયની માંગણી કરી છે.
હાલ પોલીસે આ મામલે રમેશ દામજી રાઠોડ, સામુબેન રમેશ રાઠોડ, જયસુખ ટપુ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ એમ ચાર આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dwarka,Jamnagar,Gujarat
April 18, 2025 11:14 AM IST

