Final Up to date:
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન ગરમાઈ ગયેલી ચર્ચામાં, અધ્યક્ષે પોઇન્ટ ઓફ ઓર્ડરને માન્ય રાખ્યો હતો અને મંત્રીઓને નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી. પાટણમાં કબ્જામાં રહેલા વાહનો અંગેની ચર્ચામાં, 104 વાહનો મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. સભ્યોની હાજરી બાબતે પણ ટકોર કરવામાં આવી હતી.
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન આજે એક રસપ્રદ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે કોંગ્રેસના ધારાસભ્યએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ચર્ચા ગરમાઈ ગઈ હતી. દાંતા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરડીએ ગૃહ વિભાગ સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો જવાબ ગૃહ વિભાગ તરફથી રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા આપી રહ્યા હતા. જવાબ દરમિયાન વન વિભાગ સાથે જોડાયેલા મુદ્દે મંત્રી પ્રવીણ માળી ઉભા થઈ જવાબ આપવા પ્રયત્ન કરતા કોંગ્રેસના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોનો મત હતો કે પ્રશ્ન ગૃહ વિભાગનો હતો, ત્યારે અન્ય વિભાગના મંત્રી દ્વારા જવાબ આપવો યોગ્ય નથી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો.
આ મામલે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ કોંગ્રેસના પોઇન્ટ ઓફ ઓર્ડરને માન્ય રાખ્યો હતો. અધ્યક્ષે પોતાના નિર્ણયમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોના જવાબ આપવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત કેબિનેટ મંત્રીની હોય છે. જો કેબિનેટ મંત્રી હાજર ન હોય તો રાજ્યકક્ષાના મંત્રી જવાબ આપી શકે છે. પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જે પ્રશ્ન માટે જે મંત્રી જવાબ આપવાના હોય તેના સંબંધિત પત્રક ગૃહમાં સામેલ કરવું જરૂરી હોય છે. વારંવાર એક વિભાગના મંત્રી દ્વારા બીજા વિભાગના પ્રશ્નોના જવાબ આપવા ઉભા થવું યોગ્ય નથી. અધ્યક્ષે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે તમામ મંત્રીઓએ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
આ દરમિયાન વિધાનસભામાં અન્ય એક પ્રશ્ન પણ ચર્ચામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન પોલીસ મથકોમાં પડેલા વાહનો અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે ચોરી તથા અન્ય ગુનાઓમાં ઝડપાયેલા કેટલા વાહનો હાલમાં પોલીસ સ્ટેશનમાં પડ્યા છે અને તે વાહનો મૂળ માલિકોને પરત આપવા માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સરકાર તરફથી આપવામાં આવેલા જવાબમાં જણાવાયું હતું કે છેલ્લા બે વર્ષ દરમિયાન પાટણ જિલ્લામાં ચોરીના ગુનાઓમાં ઝડપાયેલા કુલ 110 વાહનો નોંધાયા છે. ઉપરાંત અન્ય વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા 578 વાહનો પણ પોલીસના કબ્જામાં છે. જ્યારે 73 વાહનો ગુમ થયેલા તરીકે નોંધાયા છે. સરકારના જવાબ મુજબ હાલમાં સુધી પોલીસ મથકોમાં પડેલા 104 વાહનો મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. કોર્ટના આદેશ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાહનો તેમના માલિકોને પરત આપવામાં આવે છે તેવી સ્પષ્ટતા પણ ગૃહમાં કરવામાં આવી હતી.
આ દરમિયાન ગૃહમાં હાજરીના મુદ્દે પણ અધ્યક્ષ રમણલાલ વોરાએ ટકોર કરી હતી. તેમણે શાસક પક્ષ અને વિપક્ષ બંને તરફ ધ્યાન દોરતાં કહ્યું હતું કે ગૃહમાં સભ્યોની હાજરી હોવી જોઈએ તેનાથી ઘણી ઓછી સંખ્યા જોવા મળી રહી છે. અધ્યક્ષે બંને પક્ષના દંડકોને સૂચના આપી હતી કે ગૃહમાં સભ્યોની યોગ્ય હાજરી રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે. વિધાનસભાની કામગીરી દરમિયાન અધ્યક્ષની આ ટકોર બાદ બંને પક્ષના સભ્યોને ગૃહમાં હાજરી અંગે વધુ ગંભીર બનવાની સૂચના આપવામાં આવી હતી.
Gandhinagar,Gujarat
Mar 16, 2026 10:19 PM IST

