Manipur Census: કેન્દ્ર સરકારે મણિપુરમાં વસ્તી ગણતરી પ્રક્રિયાને અસ્થાયી રૂપે મુલતવી રાખી છે. રાજ્યના નાગરિક સમાજ સંગઠનો (CSOs) દ્વારા વસ્તી ગણતરી હાથ ધરતા પહેલા રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC) અપડેટ કરવાની માંગને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મણિપુરમાં વસ્તી ગણતરી અંગેનો નિર્ણય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેવામાં આવ્યો હતો. રાજ્યમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં ‘હાઉસ લિસ્ટિંગ’ કવાયત શરૂ થવાના એક દિવસ પહેલા આ બેઠક બોલાવવામાં આવી હતી.
ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો
મણિપુરની વસ્તી ગણતરી અંગેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ‘લોકોની લાગણીનો આદર’ મુખ્યમંત્રી સચિવાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર ગૃહમંત્રી સાથેની બેઠક દરમિયાન NRC અંગે મણિપુરના લોકોની માંગ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી સચિવાલય દ્વારા જારી કરાયેલ નિવેદન
મુખ્યમંત્રી સચિવાલય દ્વારા જારી કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મણિપુરના લોકોની લાગણીઓ અને આકાંક્ષાઓનો આદર કરીને રાજ્યમાં સૂચિત વસ્તી ગણતરી પ્રક્રિયાને મુલતવી રાખવા માટે સર્વસંમતિ સધાઈ છે.”
મણિપુરના મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે કેન્દ્ર સરકારના આ પગલાનું સ્વાગત કર્યું અને રાજ્યના લોકોની વાત સાંભળવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો.
એનઆરસીનો પણ ઉલ્લેખ
મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે કહ્યું, “મણિપુરના લોકોનો અવાજ સાંભળવા અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું.”
મુખ્યમંત્રીએ ભાજપના નેતા નીતિન નવીન અને નાગરિક સમાજ સંગઠનો (CSOs) ના 14 નેતાઓના પ્રયાસોની પણ પ્રશંસા કરી, જેઓ તાજેતરમાં જ નવી દિલ્હીમાં ડેરો નાંખીને મણિપુરમાં NRC લાગુ કરવા માટે માંગ કરી હતી.
