Final Up to date:
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક દંપતીએ હિમવર્ષા વચ્ચે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલ ત્રિયુગીનારાયણના મંદિરમાં લગ્ન કર્યા છે. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. ગત શનિવારે પણ કંઈક આવો જ માહોલ જામેલો હતો. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ ત્રિયુગીનારાયણ મંદિર અને તેની આસપાસનો પૂરો વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઈ ગયો હતો. આ સુંદર વાતાવરણ વચ્ચે વસંત પંચમીના શુભ અવસર પર એક ખાસ અને યાદગાર લગ્ન જોવા મળ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મેરઠથી આવેલા એક દંપતીએ મંદિર પરિસરમાં વૈદિક રીતિ રિવાજો સાથે અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા લીધા હતા. ચારેય તરફ હિમવર્ષા અને સજાવેલા મંડપથી તેમણે પોતાના લગ્નને ખાસ બનાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે દુલ્હન પોતાના કપડાંને સંભાળીને ચાલી રહી છે.
હિમવર્ષાને કારણે ઠંડી એટલી હતી કે તેમનું ચાલવું પણ મુશ્કેલ હતું. જોકે તેમના ચહેરાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. વરરાજાએ પણ શેરવાની પહેરી હતી અને ઠંડીથી બચવા માટે જેકેટ પહેર્યું હતું. પાછળ દુલ્હન આવી રહી હતી અને તે સંભાળીને ચાલી રહી હતી જેથી લપસે નહીં. વીડિયોમાં બંન્નેના ચહેરા પર ભરપૂર આનંદ દેખાઈ રહ્યો હતો.
આ લગ્નની ખાસ વાત એ હતી કે હિમવર્ષા વચ્ચે આ દંપતીએ પૂરા ઉત્સાહ અને શ્રદ્ધા સાથે દરેક વિધિ કરી હતી. સામાન્ય રીતે આવા વાતાવરણમાં લોકો બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે. પરંતુ આ દંપતીએ પોતાના લગ્નને સૌથી યાદગાર પળ બનાવી હતી. તેમના પરિવાર અને નજીકના મિત્રો પણ તેમની સાથે હાજર રહ્યા અને બધાએ સાથે મળીને આ પળને યાદગાર બનાવી હતી.
આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ત્રિયુગીનારાયણ મંદિરને લઈને એવી માન્યતા છે કે આ જગ્યાએ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ જ કારણે આ મંદિરનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે અને અહીંયા લગ્ન કરવાની ઈચ્છા ઘણા દંપતીને હોય છે. ઘણા લોકો માને છે કે અહીંયા લગ્ન કરવાથી દાંપત્ય જીવન સુખી અને મજબૂત થાય છે. આ આસ્થા અને વિશ્વાસને લઈને દેશના અલગ અલગ રાજ્યોથી લોકો અહીંયા લગ્ન કરવા આવે છે.

