Final Up to date:
દ્વારકામાં વીજપોલ ધરાશાયી થવાને કારણે કુલ 3 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જેમાં 2 શ્રમિકોના ઘટના સ્થળે તો અન્ય એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી આ અકસ્માતની ઘટનાને લઈને હાલ ગંભીર સવાલો ઉઠ્યા છે.
દ્વારકા: જિલ્લાના બજાણા ગામે વીજપોલ ધરાશાયી થવાને કારણે ભયંકર દુર્ઘટના બની છે. અહીંયા વિન્સોલ કંપનીનો વીજ પોલ ઉભો કરવામાં આવી રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની જેમાં વીજ પોલ લેબરો પર પડ્યો હતો. અકસ્માત સમયે સ્થિતિ એટલી ભયંકર થઈ ગઈ કે લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સૌથી ખરાબ વાત એ છે કે આ વીજપોલ ધરાશાયી થવાને કારણે કુલ 3 લેબરોના કરુણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
મહાકાય વીજપોલ શ્રમિકો પર પડવાને કારણે ઘટના સ્થળે જ 2 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 2 શ્રમિકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારે તે પૈકી પણ 1 મજૂરનું મોત નિપજ્યું હતું. એટલે કે કુલ 3 શ્રમિકો ના આ ઘટનામાં મોત થયા છે. જેથી વીજપોલ ધરાશાયી થવાનો આ મુદ્દો હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમિકો ને જામનગરની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે. જોકે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં પોલ ઉભો કરવાની કામગીરી દરમિયાન સુરક્ષાના સાધનો સ્થળ પર હતા કે નહીં, લેબરોએ નિયમ પ્રમાણે સુરક્ષા ઈક્વિપમેન્ટ તેમજ સુઝ અને હેલ્મેટ આપવામાં આવ્યા હતા કે નહીં. સાથે જ લેબરોનો વીમો કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવ્યો હતો કે નહીં જેવા ગંભીર સવાલો ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે હાલ સૌથી મોટો સવાલ એ છે કે શું લેબરોનું નિયમ અનુસાર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું કે નહીં. સાથે જ અકસ્માત સમયે સ્થળ પર પ્રાથમિક સારવારની વ્યવસ્થા હતી કે ન હતી. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ કુલ 3 લેબરોના મોત થવાને કારણે તેમના પરિવારમાં તેમજ લેબર ગ્રુપમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
Dwarka,Jamnagar,Gujarat

