Final Up to date:
જેતપુર: ખીરસરા રોડ પર આગથી 15-20 વીઘા ઘઉંનો પાક બળી ગયો. ખેડૂત રમેશભાઈ લુણાગરિયા અને મજૂર પરિવારને લાખો રૂપિયાનું નુકસાન. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી.
રાજકોટ: જેતપુર પંથકમાં જગતના તાત સમાન ખેડૂતે 4-5 મહિના કરેલી કાળી મજૂરી પર અચાનક આગે પાણી ફેરવી દીધું છે! ખીરસરા રોડ પર અચાનક એવી વિકરાળ આગ ભભૂકી ઊઠી કે, જોતજોતામાં 15થી 20 વીઘા જમીનમાં સોના સમાન લહેરાતો ઘઉંનો પાક માત્ર રાખના ઢગલામાં ફેરવાઈ ગયો છે. આ આગ એટલી ભયાનક હતી કે પોતાની નજર સામે જ રોજીરોટી છીનવાઈ જતાં ખેતમજૂર પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો.
જેતપુરના ખીરસરા રોડ પર આવેલ અવની ડાઈંગ પાસેના ખેતરોમાં અચાનક જ આગની જ્વાળાઓ ઊઠવા લાગી હતી. ખેડૂત રમેશભાઈ ચનાભાઈ લુણાગરિયા અને તેમના કાકાના ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હતો. પરંતુ અચાનક રોડ પરથી કોઈ અજાણ્યા કારણસર ખેતરમાં આગ લાગી અને પવનના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની વિકરાળતા જોઈને તાત્કાલિક જેતપુર ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયરની ટીમે સમયસર પહોંચીને ભારે જહેમત ઊઠાવી આગ પર કાબૂ તો મેળવી લીધો, પરંતુ ત્યાં સુધીમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું.
પીડિત ખેડૂત રમેશભાઈ ચનાભાઈ લુણાગરિયાના જણાવ્યા કે, ‘મારા અને મારા કાકાના ખેતરમાં ઘઉંનો પાક ઊભો હતો. અચાનક રોડ પરથી આગ આવી અને 15-20 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ ગયા છે. ભાગિયા પરિવાર રાત-દિવસ મજૂરી કરતો હતો, આજે બધું સળગી ગયું એટલે તેઓ રડી રહ્યા છે. અમારી સરકાર પાસે માંગ છે કે તાત્કાલિક સર્વે કરીને અમને યોગ્ય વળતર આપવામાં આવે જેથી અમે આર્થિક નુકસાનમાંથી બહાર આવી શકીએ.’
આગની આ ઘટનાએ એક ગરીબ મજૂર પરિવારના મોઢામાંથી સીધો કોળિયો છીનવી લીધો છે. ત્યારે ખેતરમાં વાવેતર કરનાર અને રાત-દિવસ એક કરનાર ભાગિયા પરિવાર પોતાની નજર સામે આખી સિઝનનું સપનું રોળાતું જોઈને નિઃસહાય બની રડી પડ્યા હતા. 15 વીઘાથી વધુનો પાક બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે ખેડૂત પાયમાલ થવાના આરે આવી ગયા છે. જેથી તેઓ તંત્ર પાસે મદદની આશા રાખી રહ્યા છે.
ગૌસ્વામી જીગ્નેશ (ફાયર કર્મચારી, જેતપુર પાલિકા) અમને ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે, અવની ડાઈંગની બાજુમાં ખેતરમાં આગ લાગી છે. અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં 15 વીઘા જેટલા ઘઉં બળી ગયા હતા. અમે સતત પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી છે અને આસપાસના અન્ય બે વીઘા પાકને બચાવી લીધો છે. કોઈ અજાણ્યા કારણસર લાગેલી આ આગે ખેડૂતો અને મજૂરોને રાતા પાણીએ રોવડાવ્યા છે.
ખેતરમાં રાત-દિવસ એક કરીને પરસેવો પાડનાર ભાગિયા (ખેતમજૂર) પરિવારની પણ કાળી મજૂરી સમાન મહેનત રાખમાં રોળાઈ ગઈ છે. ખેતરનો પાક લણવાનો સમય આવ્યો ત્યાં જ આગ લાગતા પોતાની નજર સામે જ રોજીરોટી છીનવાઈ ગઈ છે. ત્યારે આ મજૂર અને તેનો પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. હવે આ પરિવાર સામે બાળકોનું ભરણપોષણ કઈ રીતે કરવું તે મોટો સવાલ ઊભો થયો છે. હવે પીડિત ખેડૂત અને ભાગિયા પરિવાર સરકાર અને તંત્ર પાસે હાથ જોડીને આજીજી કરી રહ્યા છે કે વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેથી તેઓ ફરીથી બેઠા થઈ શકે.
Jetpur Navagadh,Rajkot,Gujarat

