મેંદરડા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ, હવે રવિ પાક પર પણ આફતના વાદળો ઘેરાયા છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને રાત-દિવસ એક કરનાર ખેડૂતોના હાથમાં હવે માત્ર રાખ જ આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસામાં અતિશય વરસાદે સોયાબીન અને મગફળીનો પાક છીનવી લીધો હતો. ખેડૂતોને આશા હતી કે રવિ સીઝનમાં વળતર મળશે, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ઘઉં, ચણા, ધાણા અને ડુંગળી જેવા પાકોમાં બે પાણ પાયા બાદ અચાનક ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે. લાખો રૂપિયાની દવાઓ છાંટવા છતાં પાક સુકાઈ રહ્યો છે, જે ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન છે.
