Final Up to date:
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ બે ટર્મથી ભાજપના ધારાસભ્ય હતા અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી રહ્યા હતા. તેમના અવસાનથી સ્થાનિક રાજકારણ અને ભાજપ સંગઠનને મોટી ખોટ પડી છે.
આણંદ: ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે. દુઃખદ સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું છે. આજે છઠ્ઠી ફેબ્રુઆરીએ વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આ સમાચાર મળતા જ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ધારાસભ્યના અચાનક અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઉમરેઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઊઠ્યું છે. જગદીશ વિશ્વકર્માએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી સાંત્વના પાઠવી છે. મહત્વનું છે કે ગોવિંદ પરમારના નિધનથી સ્થાનિક રાજકારણ અને ભાજપ સંગઠનને મોટી ખોટ પડી છે.
ગોવિંદભાઈ પરમાર બે ટર્મ ભાજપના ધારાસભ્ય છે. આ પહેલા તેઓ 1 ટર્મ અપક્ષ તરીકે ધારાસભ્ય રહ્યા હતા. તેઓ શંકરસિંહ વાઘેલાની ટનાટન સરકારમાં કૃષિ મંત્રી હતા. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં NCP નેતા જયંત પટેલ બોસ્કીએ ગોવિંદભાઈ પરમારને હરાવ્યા હતા. બાદમાં ભાજપમાં વિધિવત 2017માં જોડાયા હતા અને ભાજપે તેમને ઉમરેઠ વિધાનસભા બેઠક પર ટિકિટ આપી હતી. બાદમાં ભાજપે 2022માં પણ તેઓને એ જ બેઠક પરથી પુનઃ ટિકિટ આપતાં તેઓ જીત્યા હતા.
વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પરમાર ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને તેઓ સાદગી અને જનસેવા માટે જાણીતા હતા. ગોવિંદ પરમાર કોંગ્રેસના ગઢમાં સેંઘ મારીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ છેલ્લી બે ટર્મથી ઉમરેઠ બેઠક પર ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે તેમના આ રીતે નિધનથી વર્તમાન 15મી વિધાનસભામાં એક બેઠક ખાલી પડી છે અને ભાજપે એક અનુભવી અને પાયાના કાર્યકર ગુમાવ્યા છે અને આ સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.
Gandhinagar,Gujarat
Mar 06, 2026 10:04 PM IST

