US-Israel vs Iran Battle Information Updates: ઇઝરાયલે દાવો કર્યો છે કે ઇરાનના વરિષ્ઠ નેતા અને સિક્યુરિટી કાઉન્સિલના પ્રમુખ અલી લારિજાનીનું ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં મોત થયું છે. ઇઝરાયલી સૈન્ય (આઇડીએફ) એ પણ પુષ્ટિ કરી છે કે લારિજાનીને આ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. લારિજાની છેલ્લે 13 માર્ચે જાહેરમાં જોવા મળ્યા હતા.
ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝેએ કહ્યું કે ઇરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારિજાની હુમલામાં માર્યા ગયા છે. આઈડીએફએ એ પણ જણાવ્યું કે બાસિજ અર્ધલશ્કરી દળના કમાન્ડર ગુલામ રેઝા સુલેમાની અન્ય એક હુમલામાં માર્યા ગયા હતા. લારીજાની અને સુલેમાનીની હત્યાના સમાચાર પર હજુ સુધી ઈરાને કોઈ નિવેદન કે ખુલાસો જારી કર્યો નથી.
ઇઝરાયલી સેનાએ ટારગેટેડ હુમલો કર્યો
ઇઝરાયલી સેનાએ મંગળવારે જણાવ્યું હતું કે સૈન્ય ગુપ્તચર માહિતીના આધારે વાયુસેનાએ ગઈકાલે તેહરાનના મધ્યમાં એક ટારગેટેડ હુમલો કર્યો હતો, જેમાં છેલ્લા છ વર્ષથી બાસિજ યુનિટના કમાન્ડર રહેલા ગુલામ રેઝા સુલેમાની માર્યા ગયા હતા.
બાસિજ યુનિટ ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ની આંતરિક સુરક્ષા સાથે જોડાયેલ અર્ધલશ્કરી મિલિશિયા છે. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઇરાનના એક વરિષ્ઠ અધિકારી અલી લારિજાનીને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
કોણ છે અલી લારિજાની?
અલી લારિજાની ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ છે. તે આયતુલ્લાહ ખામેનેઇની નજીકના સહયોગી રહી ચુક્યા છે અને ઇરાની સંસદ (મજલિસ) ના પૂર્વ સ્પીકર પણ રહ્યા છે. 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ખામેનેઇની હત્યા પછી લારિજાનીએ ખાતરી આપી હતી કે શાસન કોઈ અવરોધ વિના ચાલુ રહેશે. તાજેતરમાં લારિજાની 14 માર્ચ (શુક્રવાર) ના રોજ કુડ્સ ડે રેલીમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે જોવા મળ્યા હતા.
લારિજાની ઇરાનના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારોમાંના એક છે. તેઓ ખામેનેઇના વરિષ્ઠ નીતિ સલાહકાર પણ રહી ચૂક્યા છે અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે પરમાણુ વાટાઘાટોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેઓ અમેરિકા, રશિયા અને ચીન સાથે થયેલી પરમાણુ વાટાઘાટોનો પણ ભાગ રહ્યા છે.
ઇરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિનું મોટું નિવેદન, કહ્યું – પાંચ વર્ષ સુધી યુદ્ધ લડવા માટે તૈયાર છીએ
17 માર્ચે લારિજાનીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક હસ્તલિખિત નોંધ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં ઇરાની નૌકાદળના “શહીદો” ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પોસ્ટ તે જ સમયે સામે આવી છે જ્યારે ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેની હત્યા કરવામાં આવી છે.
ઈરાને મધ્ય પૂર્વમાં હુમલા વધુ તીવ્ર કર્યા
ઇરાને મધ્ય પૂર્વમાં પોતાના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. મંગળવારે (17 માર્ચે) તેહરાને બગદાદમાં યુએસ દૂતાવાસને નિશાન બનાવીને રોકેટ અને ઓછામાં ઓછા પાંચ ડ્રોન છોડ્યા હતા. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, ઇરાકી સુરક્ષા સૂત્રોએ આ હુમલાને યુએસ-ઇઝરાયલ-ઇરાન તણાવ શરૂ થયા પછીનો સૌથી તીવ્ર હુમલો ગણાવ્યો હતો.
હુમલા દરમિયાન ઘણા વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો અને અમેરિકન સી-રેમ ડિફેન્સ સિસ્ટમે કેટલાક ડ્રોનને તોડી પાડ્યા હતા. જોકે એક ડ્રોન દૂતાવાસના પરિસરની અંદર પડ્યું હતું, જેના કારણે આગ અને ધુમાડો ફેલાયો હતો. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાન આ ક્ષેત્રમાં અમેરિકી બેઝ અને તેલ સુવિધાઓને પણ નિશાન બનાવી રહ્યું છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધ્યો છે.
