Final Up to date:
ઉત્તર પ્રદેશમાં એક બાળકને વાંદરો ઉઠાવીને લઈ જતાં ચોતરફ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, ત્યાર બાદ ગ્રામજનોની અનોખી યુક્તિથી આ બાળકનો જીવ બચી ગયો હતો.
Viral Information: ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ડિડોલી ગામમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક દોઢ મહિનાના માસૂમ બાળકને અચાનક એક વાંદરો ઉઠાવીને લઈ ગયો હતો. થોડી ક્ષણો માટે સમગ્ર ગામમાં અફરાતફરી મચી ગઈ, પરંતુ ગ્રામજનોની સમજદારી અને કોઠાસૂઝથી બાળકની જાન બચી ગઈ હતી. આ ઘટના હવે વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
ઘટના ગત સોમવાર સાંજની છે. 27 વર્ષીય મુકેશ કુમાર પોતાની પત્ની રેખા દેવી અને નવજાત પુત્ર સાથે ઘરના આંગણામાં ખાટલા પર સૂઈ રહ્યા હતા. આ દરમિયાન રેખા દેવી થોડીવાર માટે રસોડામાં ગયા. ત્યારે જ એક વાંદરો આંગણામાં ઘૂસી આવ્યો અને ખાટલા પર સૂતેલા માસૂમ બાળકને ઉઠાવીને છત પર ચડી ગયો હતો. જેવો બાળકના રડવાનો અવાજ આવ્યો, રેખા દેવી ગભરાઈ ગયા અને જોરજોરથી મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. અવાજ સાંભળીને પડોશીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાળકના કાકા વિકાસ કુમારના જણાવ્યા મુજબ, ગ્રામજનોએ ખૂબ જ સમજદારીથી કામ લીધું. કોઈએ પણ વાંદરાને ડરાવવાનો કે તેના પર હુમલો કરવાનો પ્રયાસ ન કર્યો, કારણ કે ડર હતો કે વાંદરો બાળકને નીચે ફેંકી શકે છે.
ગ્રામજનોએ ભેગા મળીને એક અનોખી યુક્તિ શોધી કાઢી હતી. તેમણે વાંદરાનું ધ્યાન ભટકાવવા માટે છત તરફ રોટલીઓ ફેંકવાનું શરૂ કર્યું. ખાવાની લાલચમાં વાંદરાએ બાળકને છત પર છોડી દીધું અને પોતે રોટલીઓ તરફ ચાલ્યો ગયો હતો. આ તકનો લાભ ઉઠાવીને કેટલાક યુવકો છત પર ચડ્યા અને સુરક્ષિત રીતે બાળકને નીચે ઉતારી લીધું હતું. સદનસીબે બાળકને કોઈ ઈજા થઈ નથી. આ ઘટના બાદ ગામમાં વાંદરાઓના વધતા આતંકને લઈને રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે, ગામમાં વાંદરાઓનો આતંક ઘણો વધી ગયો છે. મહિલાઓ અને બાળકો ઘરની બહાર નીકળતા ડરે છે. વાંદરાઓ છત પર કપડાં સૂકવતી મહિલાઓ પર હુમલો કરે છે, બાળકોના સ્કૂલ બેગ છીનવી લે છે અને દુકાનોમાંથી સામાન ઉઠાવી જાય છે. આવામાં ગ્રામજનોએ પ્રશાસન પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
આ અંગે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર લોકચંદ આનંદે જણાવ્યું કે, વન વિભાગને વાંદરાઓને પકડવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં અસરકારક પગલાં લેવામાં આવશે. આ ઘટના જ્યાં એક તરફ ખતરાની ચેતવણી છે, ત્યાં બીજી તરફ ગ્રામજનોની એકતા અને સમજદારીનું ઉદાહરણ પણ છે. ડિડોલી ગામે સાબિત કરી દીધું છે કે, યોગ્ય સમયે લેવાયેલો શાંત અને સમજદારીભર્યો નિર્ણય કેવી રીતે મોટામાં મોટા જોખમને પણ ટાળી શકે છે.

