Final Up to date:
રાજકોટના અમિત તન્ના નામના વ્યક્તિએ સોરઠીયાવાડી સર્કલ નજીક એક મંદિરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. મૃતકે જીવન ટૂંકાવ્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો.
રાજકોટ: શહેરમાં આજીવિકા માટે વ્યાજે લીધેલા રૂપિયા જ મોતનું કારણ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સોરઠીવાડી નજીક ગઈકાલે એક વ્યક્તિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જોકે જીવન ટૂંકાવ્યા પહેલા અમિત તન્નાનો માતાજીની સાક્ષીએ જીવનનો અંતિમ વીડિયો બનાવ્યો. જેમાં વ્યાજખોરોના કારણે કેમ મરવા મજબૂર બન્યા તે આપવીતી વર્ણવી છે. આ ઘટનામાં શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા પ્રેરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજકોટમાં અમિત તન્ના નામના વ્યક્તિએ આજીવિકા રળવા માટે રીક્ષા લીધી અને આ રીક્ષા લેવા માટે તેમણે બે શખ્સો પાસેથી દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા. આ જ રૂપિયાના કારણે તેમને જીવન ટૂંકાવવાનો વારો આવ્યો. રાજકોટમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. અમિત તન્ના નામના એક વ્યક્તિએ મૃત્યુ પહેલા અંતિમ વીડિયો બનાવ્યો હતો આ વીડિયો માતાજીના મંદિરમાં તેમણે માતાજીની સાક્ષીએ બનાવ્યો હોવાનું તે જણાવે છે. જેમાં તે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરતા હોવાનું બોલી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ વ્યાજખોરો દ્વારા તેમની પાસેથી કોરા ચેક લઈ લીધા હતા. એક ચેક બેંકમાં જમા કરાવી તેમના આધારે કેસ પણ કર્યો હતો. આ ઉપરાંત વ્યાજખોરોએ તેમની રીક્ષા પણ પડાવી દીધી હોવાનું કહી રહ્યા છે. ત્યારે આ અંગે મૃતકના પત્નીએ પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.
રાજકોટમાં સોરઠીયા વાડી વિસ્તારમાં અમિત તન્ના નામના વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હતી જે અંગે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા પ્રેરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે રાજકોટ એસીપીએ કહ્યું હતું કે, અમિત તન્ના નામના વ્યક્તિએ ગઈકાલે સોરઠીયાવાડી સર્કલ નજીક ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના ગુનામાં જયદીપ અને પ્રવીણ નામના બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મૃતકે આરોપી પાસેથી રીક્ષા લેવા માટે દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પહેલા કોરોના અને ત્યારબાદ પિતાની કેન્સરની બીમારીના કારણે તે કેટલાક હપ્તા નહોતા ભરી શક્યા. આરોપીઓ દ્વારા મૃતક અમિત તન્ના નામના વ્યક્તિની રીક્ષા કબજે કરી લીધી હતી. આરોપીની સુસાઇડ નોટ અને વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
રાજકોટ શહેરમાં અગાઉ પણ વ્યાજખોરોના કારણે અનેક લોકોની જિંદગી છીનવાઈ ગઈ છે પરિવાર બરબાદ થયો છે ત્યારે ફરી એક વખત વધુ એક પરિવારનો માળો પિંખાઈ ગયો છે. અલગ અલગ બેંક દ્વારા લોન અને સરકાર દ્વારા કેટલીક સબસીડી પણ અપાતી હોય છે એમ છતાં કેટલાક લોકો વ્યાજખોરોના વીસચક્રમાં ફસાઈ જતા હોય છે. જેનું વધુ એક ઉદાહરણ આ ઘટના બની છે.

