Final Up to date:
Bhavnagar Information: સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા મોટા પાયે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોની મહેનત પાણીમાં જતી રહી છે. એક મણ ડુંગળીના ભાવ માત્ર 50 થી 250 રૂપિયા મળતા ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે. ખેતી ખર્ચ સામે વેચાણ ભાવ બહુ ઓછા હોવાથી ખેડૂતો સરકાર પાસે સહાય અને ભાવવધારાની માંગ કરી રહ્યા છે.
ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં દર વર્ષે ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે પણ ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરેલું છે. હાલ ડુંગળીનો પાક ખેડૂતો વેચાણ કરવા માટે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં જઈ રહ્યા છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોને એક મણ ડુંગળીના ભાવ 50 રૂપિયાથી લઈને 250 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, ડુંગળીના ભાવ એક મણના 400 રૂપિયા કરતા વધારે હોવા જોઈએ.
ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ચિત્રા ફુલસર ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની ડુંગળી લઈને પહોંચ્યા ત્યારે હરાજીમાં એક મણ એટલે કે 20 કિલોના માત્ર 50 થી 150 રૂપિયા સુધીના ભાવ આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. ખેડૂતોને ડુંગળી પકવવાના એક વીઘાનો ખર્ચ આશરે 25000 રૂપિયા કરતાં પણ વધુનો થાય છે. તેની સામે વેચાણ કરતા ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા હોવાથી ખેડૂતોને વીઘે 10000 રૂપિયા જેટલું ઉત્પાદન મળી રહ્યું છે, જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

આ અંગે ખેડૂત ગોહિલ મહેન્દ્રસિંહે જણાવ્યું કે, હાલ અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા માટે આવ્યા છીએ, જ્યાં ડુંગળીના અમને એક મણના ભાવ 150 રૂપિયા મળ્યા છે. જ્યારે ડુંગળીનું વાવેતર કરીએ અને ત્યારબાદ તેમાં કામ કરવા માટે મજૂર બોલાવીએ તે મજૂરની મજૂરી પણ 400 રૂપિયા હોય છે. ડુંગળીના પાકમાં વાવેતરથી લઈને પાક તૈયાર થઈને યાર્ડમાં વેચાણ કરવા માટે આવીએ ત્યાં સુધી તેમાં ખર્ચ લાગતો હોય છે. ડુંગળીનું વાવેતરથી લઈને યાર્ડમાં વેચાણ કરવા આવીએ ત્યાં સુધી 30 હજાર રૂપિયા કરતા પણ વધુનો ખર્ચ એક વીઘામાં થઈ જતો હોય છે.
જેની સામે હાલ અમે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચાણ કરવા માટે આવીએ છીએ, ત્યારે યોગ્ય ભાવ નથી મળતા અને વેચાણ કરીએ તો એક વીઘામાંથી ફક્ત દસ હજાર રૂપિયાની ડુંગળીનું જ વેચાણ થઈ રહ્યું છે. જેથી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે ડુંગળીના ભાવમાં સુધારો કરવામાં આવે અથવા તો ડુંગળીના વેચાણમાં થેલા દીઠ સહાય ચૂકવવામાં આવે. એક જ ડુંગળીના બે અલગ અલગ વકલ કરવામાં આવે ત્યારે એક ડુંગળીના 50 રૂપિયા તો બીજી ડુંગળીના 150 રૂપિયા આવે છે. જેથી અમારી એક જ માંગ છે કે સરકાર દ્વારા કટ્ટા દીઠ સહાય ચૂકવવામાં આવે અથવા તો ડુંગળીના ભાવમાં વધારો કરવામાં આવે.
Bhavnagar,Gujarat
