Final Up to date:
Blood Donation Advantages: રક્તદાન કરવું જોઈએ કે નહીં? આ સવાલ તમને ઘણીવાર થતો હશે. ઘણા લોકો માને છે કે, રક્તદાન કરવાથી શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે અથવા નબળાઈ આવી શકે છે, પરંતુ ડૉક્ટરોનું સ્પષ્ટ કહેવું છે કે રક્તદાન કરવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે અને તેનાથી શરીરને ફાયદા પણ થઈ શકે છે.
રક્તદાનને ‘મહાદાન’ કહેવામાં આવે છે કારણ કે તમે કરેલા લોહીના દાનથી કોઈને નવું જીવન મળી શકે છે. ત્યારે ઘણા લોકોને સવાલ થતો હોય છે કે, રક્તદાન કરવાથી શરીરમાં લોહીની ઉણપ થાય છે કે ફાયદો? તેથી અમે તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર, રક્તદાનને શરીર માટે અત્યંત ફાયદાકારક માને છે. જોકે, તેમ છતાં ઘણા લોકોના મનમાં એક ડર ઘર કરી ગયો હોય છે કે રક્તદાન કરવાથી શરીરમાં લોહીની કમી થઈ જશે અથવા શારીરિક નબળાઈ આવશે. આ ડરને કારણે ઘણા સ્વસ્થ લોકો પણ રક્તદાન કરવાનું ટાળે છે. ડૉક્ટર્સનું સ્પષ્ટ કહેવું છે કે, રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી ઊલટું શરીરને અનેક રીતે ફાયદા થાય છે.
નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના પ્રિવેન્ટિવ હેલ્થ એન્ડ વેલનેસ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. સોનિયા રાવતે જણાવ્યું હતું કે, રક્તદાન કરવું સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. એક સામાન્ય રક્તદાન પ્રક્રિયા દરમિયાન અંદાજે 350થી 450 મિલીલીટર લોહી લેવામાં આવે છે, જે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં રહેલા કુલ લોહીનો માત્ર એક નાનો હિસ્સો છે. સૌથી મહત્વની વાત એ છે કે, રક્તદાન કર્યા પછી શરીરમાં રહેલું ‘પ્લાઝમા’ માત્ર 24થી 48 કલાકમાં જ ફરીથી બની જાય છે. જ્યારે રેડ બ્લડ સેલ્સ (RBC)ની પૂર્તિ થવામાં થોડા અઠવાડિયાનો સમય લાગે છે. તેથી એક સ્વસ્થ વ્યક્તિમાં રક્તદાનથી લોહીની કમી ક્યારેય થતી નથી.
ડૉક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, સમયાંતરે રક્તદાન કરવાથી શરીરમાં નવા બ્લડ સેલ્સનું નિર્માણ ઝડપી બને છે. તેથી બોન મેરો સક્રિય રહે છે અને નવી રેડ બ્લડ સેલ્સ બને છે. અનેક સંશોધનોમાં એ પણ બહાર આવ્યું છે કે, નિયમિત રક્તદાન કરવાથી હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘટે છે અને શરીરમાં આયર્નનું સ્તર સંતુલિત રહે છે. રક્તદાન કર્યા પછી થોડી નબળાઈ અનુભવાય તે સામાન્ય છે, પરંતુ તે કામચલાઉ હોય છે. પૂરતું પાણી પીવાથી, આયર્નયુક્ત ખોરાક લેવાથી અને થોડો આરામ કરવાથી તમે ફરીથી સામાન્ય અનુભવશો. સામાન્ય રીતે પુરુષો દર 3 મહિને અને મહિલાઓ દર 4 મહિને સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે.
એક્સપર્ટના મતે દરેક વ્યક્તિ રક્તદાન માટે યોગ્ય હોતી નથી. જે લોકોને એનિમિયા (લોહીની ઉણપ), કોઈ પ્રકારનું ઇન્ફેક્શન કે ગંભીર બીમારી હોય, તેમને રક્તદાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. હાલમાં જ સર્જરી કરાવી હોય તેવા લોકોએ પણ રક્તદાનથી દૂર રહેવું જોઈએ. રક્તદાન પહેલાં હંમેશા હિમોગ્લોબિન અને સામાન્ય સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે, જેથી દાતાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. યોગ્ય માહિતીના અભાવે ફેલાયેલી ભ્રમણાઓથી દૂર રહેવું જોઈએ. એક યુનિટ લોહી ત્રણ લોકોના જીવ બચાવી શકે છે. જો તમે સ્વસ્થ હોવ, તો નિયમિત રક્તદાન કરવાની આદત પાડો, તે માત્ર બીજા માટે જ નહીં પણ તમારા પોતાના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
Disclaimer
(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
Feb 11, 2026 12:56 PM IST

