ડો. હેમંત કુમારે જણાવ્યું હતું કે, માનવ શરીર અબજો સેલ્સથી બનેલું છે. સામાન્ય રીતે જ્યારે સેલ્સનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તેની જગ્યાએ નવા સેલ્સનું સર્જન થાય છે, એટલે કે આપણું શરીર સમયાંતરે પોતે જ નવેસરથી બને છે. પરંતુ કેન્સરની બીમારીમાં આ કુદરતી પ્રક્રિયા ખોરવાઈ જાય છે. સેલ્સ અનિયમિત રીતે વધવા લાગે છે અને તેના કારણે શરીરમાં ગાંઠો બનતી જાય છે. આ ગાંઠો ધીમે ધીમે શરીરના અન્ય ભાગોમાં ફેલાવાની શક્યતા ઊભી કરે છે, જેને કેન્સરનું સ્પ્રેડ કહેવાય છે.
આંકડાઓ મુજબ પુરુષોમાં ખાસ કરીને ફેફસાં (લંગ્સ), પ્રોસ્ટેટ અને મોઢાના કેન્સરના કેસ વધુ જોવા મળે છે, જ્યારે મહિલાઓમાં ગર્ભાશય, યુટ્રસ અને સ્તન કેન્સરના કેસોની સંખ્યા વધારે જોવા મળે છે. બદલાતી જીવનશૈલી, ખોરાકની ટેવ અને તણાવ સાથે સાથે ગ્રહોની અસર પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેવું જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે.

ડો. હેમંત કુમારે વધુમાં કહ્યું કે, જ્યારે એગ્સ અને સ્પર્મ ફર્ટિલાઈઝ થાય છે, ત્યારથી જ જન્મનાર બાળક પર ગ્રહોની અસર શરૂ થઈ જાય છે. આ ગ્રહોની અસર વ્યક્તિ જ્યાં સુધી પૃથ્વી પર જીવન જીવે છે ત્યાં સુધી તેની સાથે જોડાયેલી રહે છે. વૈદિક જ્યોતિષ અનુસાર કેન્સર બીમારીનો મુખ્ય કારક ગ્રહ રાહુ માનવામાં આવે છે. રાહુ સાથે શનિ અને મંગળ ગ્રહ પણ પોતાની મહત્વની ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને જ્યારે આ ગ્રહો પીડિત અથવા અશુભ સ્થિતિમાં હોય.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રાશિ માનવ શરીરના અલગ-અલગ અંગોને પ્રભાવિત કરે છે. મેષ રાશિ માથું અને મગજ સાથે જોડાયેલી છે, વૃષભ રાશિ ગળું અને અવાજને અસર કરે છે, મિથુન હાથ, ખભા અને નસોને પ્રભાવિત કરે છે. કર્ક રાશિ છાતી અને પાચનતંત્ર સાથે સંકળાયેલી છે, સિંહ રાશિ હૃદય અને પીઠને અસર કરે છે, જ્યારે કન્યા રાશિ આંતરડા અને પેટ સાથે જોડાયેલી માનવામાં આવે છે. તુલા રાશિ કિડની અને કમરને, વૃશ્ચિક રાશિ પ્રજનન અંગોને, ધનુ રાશિ જાંઘ અને યકૃતને, મકર રાશિ હાડકાં અને ઘૂંટણને, કુંભ રાશિ રક્તપ્રવાહ અને નસોને જ્યારે મીન રાશિ પગ અને પગના તળિયાને પ્રભાવિત કરે છે.
ડો. હેમંત કુમારે વધુમાં કહ્યું કે, જે રાશિનો જે સ્વામી ગ્રહ હોય અને તે ગ્રહ પીડિત સ્થિતિમાં હોય અથવા તેના પર રાહુ કે શનિની દૃષ્ટિ હોય, તો તે રાશિ સાથે સંકળાયેલા શરીરના ભાગમાં કેન્સર થવાની સંભાવના વધી જાય છે. જ્યોતિષ મુજબ સૂર્ય ગ્રહ પીડિત હોય તો આંખો, હૃદય અને હાડકાં સંબંધિત સમસ્યાઓ સાથે ગંભીર રોગો થવાની શક્યતા રહે છે. ચંદ્ર ગ્રહ પીડિત હોય તો સ્તન કેન્સર અથવા ફેફસાંના કેન્સરનો ખતરો વધી શકે છે.
મંગળ ગ્રહ પીડિત હોય તો રક્ત, માથું અને માંસપેશીઓ પર અસર પડે છે, જેના કારણે બ્લડ કેન્સર અથવા માંસપેશીઓના કેન્સરનું જોખમ રહે છે. બુધ ગ્રહ પીડિત હોય તો નસો અને ચામડી સંબંધિત સમસ્યાઓ વધે છે, અને આ સ્થિતિમાં સ્કીન કેન્સર અથવા આંતરડાના કેન્સરની સંભાવના જણાય છે. ગુરુ ગ્રહ પીડિત હોય તો યકૃત અને ચરબી પર અસર પડે છે, જેના કારણે લિવર કેન્સર થવાની શક્યતા રહે છે. શુક્ર ગ્રહ પીડિત સ્થિતિમાં હોય તો ગર્ભાશય, પ્રોસ્ટેટ અને કિડનીના કેન્સરનો ખતરો વધી શકે છે, જ્યારે શનિ ગ્રહ પીડિત હોય તો સ્કીન કેન્સર અને હાડકાંના કેન્સરની સંભાવના વધુ રહે છે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ડો. હેમંત કુમાર સલાહ આપે છે કે વ્યક્તિએ માત્ર શારીરિક જ નહીં પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ પણ સજાગ રહેવું જરૂરી છે. કેન્સર જેવી ગંભીર બીમારી સામે સમયસર જાગૃતિ, યોગ્ય જીવનશૈલી, નિયમિત આરોગ્ય તપાસ અને માનસિક સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે. સાથે જ જ્યોતિષ મુજબ ગ્રહોની સ્થિતિનું ધ્યાન રાખીને યોગ્ય ઉપાયો કરવાથી પણ વ્યક્તિ પોતાનું આરોગ્ય વધુ સુરક્ષિત રાખી શકે છે.
Disclaimer
(અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. ન્યૂઝ18 ગુજરાતી તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
