ત્યારે ચાલો જાણીએ લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા શું છે? કોંગ્રેસ સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવવા જઈ રહી છે? ભારતીય રાજનીતિમાં અત્યાર સુધીમાં કેટલી વખત લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે? સ્પીકર વિરુદ્ધ આવેલા આ અવિશ્વાસ પ્રસ્તાવોથી શું થયું છે? ચાલો આ તમામ સવાલોના જવાબ જાણીએ.
નિયમ: લોકસભા સ્પીકરને હટાવવાની પ્રક્રિયા બંધારણની કલમ 94 અને લોકસભાની કાર્યપ્રણાલી અને કામકાજના નિયમોની કલમ 200 દ્વારા નિયંત્રિત થાય છે.
પ્રક્રિયા: જે સભ્ય સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરને હટાવવા માટે પ્રસ્તાવની નોટિસ આપવા માંગે છે, તે મહાસચિવને લેખિતમાં આવા પ્રસ્તાવનું સંપૂર્ણ ટેક્સ્ટ આપશે. પ્રસ્તાવ મંજૂર થવા માટે, તેને નીચે આપેલી શરતો પૂર્ણ કરવી પડશે-
– તેમાં આરોપો વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હોય. સ્પષ્ટ અને ચોક્કસ શબ્દોમાં આરોપ વ્યક્ત કરવામાં આવ્યા હોય.
– તેમાં તર્ક, અનુમાન, વ્યંગ્યાત્મક વાતો, આરોપ અથવા માનહાનિકારક નિવેદનો ન હોવા જોઈએ.
– ઉપ-નિયમ (1) હેઠળ નોટિસ મળ્યા પછી, પ્રસ્તાવ રજૂ કરવાની પરવાનગી માટે એક પ્રસ્તાવ સંબંધિત સભ્યના નામે કામકાજની યાદીમાં નોંધાશે.
– પ્રસ્તાવ માટે દિવસ નક્કી કરવામાં આવશે. આ પ્રસ્તાવની નોટિસ મળ્યાની તારીખથી ચૌદ દિવસ પછીનો કોઈપણ દિવસ હશે.
– આ પ્રસ્તાવને ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન મળવું જોઈએ (નહીં તો પ્રસ્તાવ રદ્દ થશે).
– સામાન્ય રીતે પ્રસ્તાવ સ્વીકાર્ય થયા પછી 10 દિવસની અંદર ચર્ચા અને મતદાન થાય છે. જ્યારે સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરને પદથી હટાવવાનો પ્રસ્તાવ વિચારાધીન હોય, ત્યારે તેઓ અધ્યક્ષતા કરી શકતા નથી. લોકસભાનો પ્રસ્તાવ સંસદના તે સમયના સભ્યોના બહુમતીથી પસાર થાય છે.
અત્યાર સુધીમાં લોકસભા સ્પીકર વિરુદ્ધ 3 પ્રસ્તાવ આવ્યા છે. (1) 18 ડિસેમ્બર, 1954: તત્કાલીન લોકસભા સ્પીકર જી.વી. માવલંકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ચર્ચા પછી સદને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. (2) 24 નવેમ્બર, 1966: તત્કાલીન લોકસભા સ્પીકર હુકમ સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેને નકારી કાઢવામાં આવ્યો હતો, કારણ કે પ્રસ્તાવના સમર્થનમાં 50થી ઓછા સભ્યો ઊભા થયા હતા. (3) 15 એપ્રિલ, 1987: તત્કાલીન લોકસભા સ્પીકર બલરામ જાખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ચર્ચા પછી સદને આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
આ ઉપરાંત 1967માં તત્કાલીન અધ્યક્ષ ડૉ. નીલમ સંજીવ રેડ્ડી, 2001માં તત્કાલીન અધ્યક્ષ જી.એમ.સી. બાલયોગી, 2011માં તત્કાલીન સ્પીકર મીરા કુમાર, 2020માં ઓમ બિરલા વિરુદ્ધ નોટિસ લાવવાની વાત જોર-શોરથી ચાલી હતી. પરંતુ આ ચર્ચાઓ ફળીભૂત ન થઈ.
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને નિયમોનો હવાલો આપીને પોતાનું ભાષણ પૂર્ણ કરવા દેવામાં આવ્યું નહોતું. રાહુલ ગાંધી પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણેની અપ્રકાશિત પુસ્તકના એક ભાગને સંસદમાં બોલવા માંગતા હતા. નરવણેની પુસ્તકનો ઉલ્લેખ કરવા રાહુલ ગાંધીને લોકસભામાં બોલવાથી રોકવામાં આવ્યા, પરંતુ ભાજપ સાંસદ નિશિકાંતે સંસદમાં નેહરુ, ઇન્દિરા ગાંધી જેવા પૂર્વ વડાપ્રધાનો વિરુદ્ધ પુસ્તકોના હવાલાથી આપત્તિજનક વાતો કહી હતી.
આ મામલે ભારે હોબાળો થતાં કોંગ્રેસના 7 સાંસદો સહિત કુલ 8 સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં હીબી એડન, અમરિંદર સિંહ રાજા વોરિંગ, મણિકમ ટાગોર, ગુરજીત સિંહ ઔજલા, કિરણ કુમાર રેડ્ડી, પ્રશાંત પાડોલે, એસ. વેંકટેશન અને ડીન કુરિયાકોસ સામેલ છે.
કોંગ્રેસ લોકસભા અધ્યક્ષની તે ટિપ્પણીઓથી અત્યંત નારાજ છે, જેમાં તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના ઘણા સભ્યો પ્રધાનમંત્રીની ખુરશી પાસે પહોંચીને કોઈપણ અપ્રત્યાશિત ઘટના કરી શકે છે. તેથી તેમણે વડાપ્રધાનને સદનમાં ન આવવાની વિનંતી કરી હતી.
અહીં એ પણ સ્પષ્ટ કરી દઈએ કે, જો ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવી પણ ગયો તો તે પસાર થવો ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે કોંગ્રેસ સહિત વિપક્ષ પાસે કુલ 220થી વધુ સાંસદો છે. આવા કિસ્સામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે વિપક્ષને વધુ મહેનત નહીં કરવી પડે. પરંતુ લોકસભામાં તેને પસાર કરાવવું મુશ્કેલ હશે, કારણ કે ત્યાં એનડીએ પાસે બહુમત છે.
