Final Up to date:
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર વાંસદા માટે આજનો દિવસ એક નવો સૂર્યોદય લઈને આવ્યો છે. વર્ષોથી ઈમરજન્સીના સમયે લોહી મેળવવા માટે નવસારી કે વલસાડ સુધીના 60 થી 100 કિલોમીટરના ધક્કા ખાતા દર્દીઓ અને તેમના પરિવારો માટે હવે મોટી સુવિધા ઊભી થઈ છે. વાંસદાની શ્રી હોસ્પિટલ ખાતે વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી બ્લડ સ્ટોરેજ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નવસારી: નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના વાંસદા તાલુકા માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વર્ષોથી આરોગ્યસેવાના અભાવે પીડાતા આ વિસ્તારના લોકો માટે હવે મોટી રાહતના સમાચાર આવ્યા છે. ઈમરજન્સી સમયે લોહી મેળવવા માટે 60 કિલોમીટરથી વધુ અંતર કાપવાનું દુઃખ ભોગવતા વાંસદાના આદિવાસી દર્દીઓને હવે પોતાના વિસ્તારમાં જ લોહી ઉપલબ્ધ બનશે. વાંસદાની શ્રી હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ખુલ્લું મૂકવામાં આવતા આ સમગ્ર પંથકમાં આશાનો નવો કિરણ ફેલાયો છે.
વાંસદા તાલુકો વર્ષોથી અનેક પાયાની આરોગ્યસેવાઓથી વંચિત રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે સામાન્ય સારવાર માટે પણ લોકોને દૂરના શહેરોમાં જવું પડતું હતું. હવે હોસ્પિટલો ઊભી થઈ છે, સારવારની સુવિધાઓ વધી છે, છતાં ઈમરજન્સી સમયે સૌથી મહત્ત્વની જરૂરિયાત એટલે કે લોહી મેળવવા માટે લોકો હજુ પણ નવસારી અને વલસાડના રક્તદાન કેન્દ્રો પર નિર્ભર રહેતા હતા. વાંસદાના લોકોને 60 કિલોમીટર દૂર જવું પડતું, તો બીજી તરફ ડાંગ જિલ્લાના ઘણા દર્દીઓને 100 થી 160 કિલોમીટર સુધીનો લાંબો માર્ગ કાપવો પડતો હતો. આવા સમયમાં દર્દી અને તેના પરિવાર માટે દરેક મિનિટ અમૂલ્ય બની જાય છે, પરંતુ લોહી મેળવવાની મથામણમાં 4 થી 12 કલાક જેટલો સમય વેડફાતો હતો. આ વિલંબ દર્દીના જીવન માટે ગંભીર જોખમ ઊભું કરતો હતો.
ઘણા પ્રસંગોએ સમયસર લોહી ન મળવાના કારણે દર્દીઓના જીવન ગુમાવવાના આક્ષેપો અને ફરિયાદો પણ સામે આવી છે. આરોગ્ય સુવિધાની આ ખામી માત્ર તંત્રની અસમર્થતાનું પ્રતીક નહોતી, પરંતુ આદિવાસી સમાજની લાંબી વેદનાનું જીવંત ચિત્ર હતી. એક બાજુ વિકાસના દાવાઓ અને બીજી બાજુ જીવ બચાવવા માટે પણ શહેરોના દ્વારે ધક્કા ખાવાની ફરજ, આ વિસંગત સ્થિતિ વર્ષોથી વાંસદા અને ડાંગના લોકોએ ભોગવી છે.

એક અંદાજ મુજબ માત્ર વાંસદા વિસ્તારમાં જ દર મહિને 400 થી 450 યુનિટ લોહીની જરૂરિયાત ઊભી થાય છે. આ આંકડો દર્શાવે છે કે બ્લડ બેંક અથવા સ્ટોરેજ સેન્ટર જેવી સુવિધા અહીં કેટલા સમયથી અત્યંત આવશ્યક હતી. લાંબા સમયથી વાંસદામાં બ્લડ બેંક શરૂ કરવા માટે ડૉ. લોચન શાસ્ત્રી પ્રયાસરત રહ્યા છે. અનેક રજૂઆતો, પ્રયત્નો અને ઇચ્છા હોવા છતાં કોઈક કારણસર સંપૂર્ણ બ્લડ બેંક શરૂ થઈ શકી નહોતી. પરંતુ સેવાભાવ અને માનવતાને કેન્દ્રમાં રાખીને તેમણે પોતાની શ્રી હોસ્પિટલમાં જ વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી 80 યુનિટ રક્ત સંગ્રહ કરી શકાય એવું બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ કર્યું છે.
આ સેન્ટરનું શરૂ થવું માત્ર એક આરોગ્યસુવિધાનો ઉમેરો નથી, પરંતુ આદિવાસી સમાજ માટે જીવ બચાવતી આશાની વ્યવસ્થા છે. હવે અકસ્માત, પ્રસૂતિ, ગંભીર બીમારી કે અન્ય ઈમરજન્સી પરિસ્થિતિમાં લોહી માટે દોડધામ ઓછી થશે, દર્દીને સમયસર સારવાર મળશે અને પરિવારજનોની તકલીફમાં પણ ઘટાડો થશે. વાંસદા અને આસપાસના વિસ્તારમાં રહેતા સેંકડો પરિવારો માટે આ સેન્ટર કોઈ આશીર્વાદથી ઓછું નથી.
વર્ષોથી અવગણના, અંતર અને અભાવ વચ્ચે જીવન જીવતા આદિવાસી સમાજ માટે વાંસદામાં શરૂ થયેલું આ બ્લડ સ્ટોરેજ સેન્ટર માનવતાની સાચી સેવા સમાન છે. કારણ કે વિકાસ ત્યારે જ સાચો કહેવાય જ્યારે છેલ્લે ઊભેલા માણસ સુધી જીવનરક્ષક સુવિધા પહોંચે. આજે વાંસદામાં જે શરૂ થયું છે તે માત્ર એક સેન્ટર નહીં, પરંતુ અનેક ઘરોમાં આશા, સુરક્ષા અને વિશ્વાસનું નવું દીવડું પ્રગટાવનાર ઐતિહાસિક પગલું છે.
Navsari,Gujarat
