Final Up to date:
કોર્પોરેટરો દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, બ્રિજ ઉતરતા ભાગે આવેલા રેલવે બ્રિજનું કામ હાલ પ્રગતિમાં છે, જેના કારણે પૂર્ણ કનેક્ટિવિટી હજી મળી નથી. તેમ છતાં, હાલ જે ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે તે આસપાસની ઇન્ડસ્ટ્રીઓ માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે.
સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં તાજેતરમાં લોકાર્પિત કરાયેલા નવા બ્રિજને લઈને વિવાદ તીવ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બ્રિજના લોકાર્પણ બાદ તરત જ એવો આક્ષેપ ઉઠ્યો કે, બ્રિજ આગળનો રસ્તો હજુ બંધ હાલતમાં હોવા છતાં ઉતાવળમાં બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે મીડિયા દ્વારા અહેવાલો પ્રસારિત થતાં જ રાજકીય માહોલ ગરમાયો હતો. મીડિયામાં અહેવાલો આવ્યા બાદ ભાજપના કોર્પોરેટરો દોડતા થયા હતા. એક પછી એક કરીને સંબંધિત વિસ્તારના કોર્પોરેટરો ભેસ્તાન બ્રિજ પર પહોંચ્યા અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું. કોર્પોરેટરોએ સ્થળ પર જઈને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યા હતા અને લોકોએ ફેલાતી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
કોર્પોરેટરો દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, બ્રિજ ઉતરતા ભાગે આવેલા રેલવે બ્રિજનું કામ હાલ પ્રગતિમાં છે, જેના કારણે પૂર્ણ કનેક્ટિવિટી હજી મળી નથી. તેમ છતાં, હાલ જે ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે તે આસપાસની ઇન્ડસ્ટ્રીઓ માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને ભેસ્તાન અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓના માલિકો તેમજ હજારો કામદારોને આ બ્રિજથી અવરજવર સરળ બની હોવાનું કોર્પોરેટરોનું કહેવું છે.
કોર્પોરેટરોનો દાવો છે કે, આ બ્રિજ માત્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પૂરતો સીમિત નથી, પરંતુ ભવિષ્યમાં એરપોર્ટ જવા માટે પણ મહત્વપૂર્ણ માર્ગ બની રહેશે. હાલમાં અંદાજે 1800 જેટલા ઇન્ડસ્ટ્રીયલ કારખાના માલિકો અને ત્યાં કામ કરતા કામદારોને આ બ્રિજથી સીધી રાહત મળી રહી છે. અગાઉ ટ્રાફિક જામ અને લાંબા વળાંકને કારણે થતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
આ સાથે જ કોર્પોરેટરોનું કહેવું છે કે, રેલવે બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ ભેસ્તાન બ્રિજ વધુ ઉપયોગી બનશે અને શહેરના ટ્રાફિક ભારને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સમગ્ર વિવાદ વચ્ચે, લોકાર્પણ પ્રક્રિયા અને અધૂરા કામને લઈને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર હજુ ચર્ચા ચાલી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતાએ મુદ્દાને નવી દિશા આપી છે.હાલ તો ભેસ્તાન બ્રિજ શહેરના વિકાસ અને ઔદ્યોગિક વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ રેલવે બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિવાદ થંભશે કે નહીં તે જોવું રહ્યું.

