Final Up to date:
મોહમ્મદ કૈફે બાંગ્લાદેશ કેપ્ટનના વિવાદિત રન આઉટ પર નિંદા કરી. પાકિસ્તાને બાંગ્લાદેશને 128 રને હરાવીને સીરિઝ 1-1થી બરાબરી કરી.
અમદાવાદ: પાકિસ્તાને બીજી વનડેમાં બાંગ્લાદેશને 128 રને હરાવીને ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. યજમાન બાંગ્લાદેશે પહેલી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. બાંગ્લાદેશ અને પાકિસ્તાનની બીજી વનડેમાં મહેમાન ટીમના સલમાન અલી આગાના રન આઉટને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો જોવા મળ્યો છે. તેને લઈને ક્રિકેટ વર્લ્ડ બે ભાગોમાં વહેંચાઈ ગયું છે. કોઈ મેહદી હસન મિરાજને સાચો ગણાવી રહ્યાં છે તો, કોઈ તેને ખેલ ભાવનાથી વિરુદ્ધ ગણાવી રહ્યાં છે. આવો જાણીએ કે શું છે સમગ્ર મામલો.
સલમાન અલી આગાના રન આઉટની ઘટના પાકિસ્તાનની ઇનિંગની 39મી ઓવરમાં બની હતી. આ ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ રિઝવાને સીધો શોટ રમ્યો જે નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા સલમાન આગા તરફ ગયો. મેહદી હસન મિરાજ બોલ તરફ દોડ્યો અને સલમાન આગા સાથે અથડાઈ ગયો. જેવો મેહદી હસન મિરાજે બોલ હાથમાં લીધો, તેણે જોયું કે, પાકિસ્તાની ખેલાડી હજુ ક્રીજની બહાર છે, તો તેણે રન આઉટ કરી અમ્પાયર પાસે અપીલ કરી.
સલમાન અલી આગાએ એ સમયે કહ્યું હતું કે, બોલ સાથે ટક્કર થવાથી તે સમય રહેતાં ક્રીજની અંદર પહોંચી શક્યો નહીં. જો કે, બાંગ્લાદેશ પોતાના નિર્ણયથી ટસનું મસ થયું નહીં. જ્યારે થર્ડ અમ્પાયરે નિર્ણય આપ્યો તો તેણે પણ નિયમો અંતર્ગત આગાને આઉટ આપ્યો.
આ મુદ્દે મોહમ્મદ કૈફે પોતાનો અભિપ્રાય આપતાં ફેસબુક પર લખ્યું કે, “આ બિલકુલ યોગ્ય નથી. વિકેટ લેવાની ગમે એટલી ઉતાવળ કેમ ન હોય, આ પ્રકારના રન આઉટને કોઈપણ રીતે યોગ્ય ગણાવી શકાય નહીં, અને તે પણ એક કેપ્ટન તરફથી! યુવા ખેલાડીઓ કૃપા કરીને એ વાતનું હંમેશાં યાદ રાખજો – ભલે વર્લ્ડ કપ દાવ પર લાગ્યો હોય, પરંતુ ક્યારેય એવું ન કરતાં જેવું બાંગ્લાદેશે કર્યું. ‘ફેર પ્લે’ વગરની રમત, રમત નથી કહેવાતી.”
જણાવી દઈએ કે, સલમાન આગાના રન આઉટ થયા પછી પાકિસ્તાનની ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી અને 50 ઓવર પણ રમી શકી નહીં. પાકિસ્તાને બાંગ્લાદેશને 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 114 રનમાં સંકેલાઈ ગઈ હતી.
Mar 14, 2026 11:09 AM IST

