Final Up to date:
ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર મંગળવારે પોતાના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ ઉપરાંત સચિને સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર મંગળવારે પોતાના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ ઉપરાંત સચિને સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. સચિન સાથે આ મુલાકાતમાં તેની પત્ની અંજલિ, દીકરો અર્જુન અને તેની થનાર વહુ સાનિયા પણ હતી. સચિન તેંડુલકરે પીએમ સાથે પોતાની મુલાકાતની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. પીએમ મોદી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત પાછળનું કારણ અર્જુનના લગ્ન હતા. સચિન તેંડુલકર અર્જુનના લગ્નનું આમંત્રણ આપવા માટે પીએમ આવાસ પર પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયા પર સચિને લખ્યું, “અમે સન્માનિત અનુભવ કરીએ છીએ કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીને અર્જુન અને સાનિયાના લગ્નમાં આમંત્રિત કર્યા. મોદી જી, તમારા આશીર્વાદ અને સમજદારી ભરેલી સલાહ માટે ધન્યવાદ.” અર્જુન તેંડુલકર આ વર્ષે સાનિયા ચંદોક સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્નની વિધિ 3 માર્ચથી શરૂ થશે અને 5 માર્ચે નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન થશે.
જણાવી દઈએ કે, અર્જુન તેંડુલકર અને બિઝનેસમેન રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંદોકની સગાઈ ગત વર્ષે ઓગસ્ટમાં થઈ હતી. સાનિયા ચંદોક મુંબઈના સૌથી અમીર ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. સાનિયા Mr. Paws Pet Spa & Retailer LLPમાં પાર્ટનર અને ડાયરેક્ટર છે. ઘઈ પરિવારનું હોટલ અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે.
જ્યારે અર્જુન તેંડુલકરની વાત કરીએ તો તે ઘરેલું ક્રિકેટમાં ગોવા માટે રમે છે અને 22 ફર્સ્ટ ક્લાસ મેચમાં 48 વિકેટ અને 620 રન બનાવી ચૂક્યો છે. 23 લિસ્ટ Aમાં તેના નામે 25 વિકેટ અને 155 રન છે. આઈપીએલ 2026ની હરાજી પહેલા અર્જુનને મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયંટ્સમાં ટ્રેડ કર્યો હતો. આ ફેરફાર સાથે અનુભવી ભારતીય બોલર મોહમ્મદ શમી પણ એલએલજીમાં સામેલ થયો, જેથી ટીમની બોલિંગ મજબૂત થઈ શકે.
Feb 10, 2026 11:50 PM IST

