Final Up to date:
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે કાયમી અધ્યાપકોની મોટી ભરતી થવા જઈ રહી છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં 825 જેટલી ટીચિંગ પોસ્ટ એટલે કે કાયમી અધ્યાપકોની જગ્યા ભરવા માટે મંજૂરી આપી દીધી છે.
વડોદરા: શિક્ષણ જગતમાંથી એક અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે કાયમી અધ્યાપકોની મોટી ભરતી થવા જઈ રહી છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં 825 જેટલી ટીચિંગ પોસ્ટ એટલે કે કાયમી અધ્યાપકોની જગ્યા ભરવા માટે મંજૂરી આપી દીધી છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતની અન્ય સરકારી યુનિવર્સિટીઓની સરખામણીએ એમ.એસ. યુનિવર્સિટીમાં આ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હશે.
મળતી માહિતી મુજબ, ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રહે અને નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે યુનિવર્સિટી તંત્ર સજ્જ છે. આ માટે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રોફેસર ધનેશ પટેલના નેતૃત્વમાં એક ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે.
જોકે, ઉમેદવારોએ હજુ થોડી રાહ જોવી પડી શકે છે. કારણ કે, આ કમિટીનું કામકાજ હજુ વેગવંતુ બન્યું નથી અને યુનિવર્સિટી દ્વારા કોઈ સત્તાવાર નોટિફિકેશન કે જાહેરાત બહાર પાડવામાં આવી નથી. એકવાર સત્તાવાર નોટિફિકેશન આવશે, ત્યારબાદ જ અરજીઓ મંગાવવાની પ્રક્રિયા શરૂ થશે.
બીજી તરફ, બિન-શૈક્ષણિક સ્ટાફની ભરતીનો મામલો હજુ પણ ગૂંચવાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા હંગામી કર્મચારીઓએ કાયમી થવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી, નોન-ટીચિંગ સ્ટાફ માટે કેટલી જગ્યાઓ મંજૂર થઈ છે તેનો ચોક્કસ આંકડો અત્યારે આપી શકાય તેમ નથી. જોકે, ભવિષ્યમાં આ જગ્યાઓ પર પણ કાયમી ભરતી થશે તે નિશ્ચિત છે.ટૂંકમાં કહીએ તો, એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપક બનવા ઇચ્છતા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી રહી છે, બસ રાહ છે માત્ર સત્તાવાર જાહેરાતની. જે અંગે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Vadodara,Gujarat
Feb 13, 2026 10:37 AM IST

