Final Up to date:
રાજુ કરપડાના આપ પર લેવાયેલા ગંભીર આક્ષેપ અંગે ગુજરાતના આપના નેતા પ્રવીણ રામે જવાબ આપ્યો છે અને શુભકામનાઓ પણ આપી છે.
અમદાવાદ: રાજુ કરપડાના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે. ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આજે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપ વિરુદ્ધ અનેક ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તો બીજી બાજુ ગુજરાતના આપના નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં પ્રવીણ રામે તે રાજુ કરપડાના મોટા મોટા આક્ષેપો અંગે જવાબ આપ્યો છે અને શુભકામનાઓ પણ આપી છે.
આપના નેતા પ્રવીણ રામે ન્યૂઝ18 ગુજરાતી સાથે રાજુ કરપડા અંગે ખાસ વાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજુભાઈનો આક્ષેપ છે કે આંદોલન બાદ અમે જેલમાં બંધ હતા ત્યારે પાર્ટીએ કોઈ વકીલ જ રાખ્યા ન હતા. તો ગુજરાતની જનતાને ખબર પડે છે કે, વકીલ વગર કોઈને જામીન મળે જ નહીં. આ આક્ષેપ જ પાયાવિહોણા છે. કોઈ જજ એવું તો ન જ કહેને તમે 108 દિવસ જેલમાં બંધ રહ્યાં છો તો હવે જાવ તમે મુક્ત.
આ ઉપરાંત પાર્ટી મદદે ન આવી તેવા આક્ષેપ અંગે પ્રવીણ રામનું કહેવું છે કે, જો પાર્ટી મદદે જ ન આવી તો રાજુ કરપડા સાથે પ્રવીણ રામ પણ ઉભા હોત. અમારી સાથે 65 લોકો જેલમાં ગયા તે પણ ઉભા હોત. પણ તે એક જ બહાર નીકળ્યા છે. અમને મદદ કરી અને પાર્ટીએ તેમને નથી કરી તેવું તો ન બની શકે.
કરપડા પર કેસ અંગે તેમણે જણાવ્યુ કે, તેમની પર ચાલી રહેલા કેસના ડરના કારણે તેમણે આ ડિસિઝન લીધું હોય શકે છે. 10 વર્ષથી કેસ ચાલતો હતો પરંતુ હવે કાંઠે આવ્યો છે. તેનું ડિસિઝન હવે આવવાનું હતુ. એક કેસમાં તો સજા થઈ જ છે. ડર હતો કે, તેમને અને પરિવારને જેલ થઈ જશે તો શું થશે?
પ્રવીણ રામે વધુમાં જણાવ્યું છે કે, જો તે ભાજપમાં જાય તો ત્યાં પણ અહીં જે રીતે ખેડૂતો માટે લડતા હતા તેવી જ હિંમતથી ત્યાં પણ લડે તેવી અપેક્ષા છે. ત્યાં બેસી ન જાય તે માટેની શુભકામના પાઠવીએ છીએ.
Ahmedabad,Gujarat

