Final Up to date:
દેવભૂમિદ્વારકા ભાણવડના સણખલા ગામે ખેતરમાં પાણી વાળતા સમયે નંદરામ ગરવાલ નામના શખ્સે આવેશમાં પોતાની પત્ની રેખાબેનને પાવડાના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે.
દેવભૂમિદ્વારકા: ભાણવડના ગ્રામ્ય પંથકમાં પાવડાના ઘા ઝીંકી પતિ દ્વારા પત્નીની હત્યા કરાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ખેતરમાં પાણી વાળવા બાબતે ઝઘડો થતા પતિએ ઉશ્કેરાઈને પત્નીને માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હોવાની માહિતી મળી રહી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘટનાની મળતી માહિતી મુજબ, દેવભૂમિદ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામેથી આ ઘટના સામે આવી છે, જ્યાં ખેતરમાં પાણી વાળવા જેવી સામાન્ય વાતમાં દંપતિ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં પતિ નંદરામ ગરવાલ આવેશમાં આવીને હેવાન બન્યો હતો અને પત્ની રેખાબેનના માથાના ભાગે લોખંડના પાવડાના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.
આટલું જ નહીં, આ પતિ નંદરામ ગરવાલે તો હેવાનિયતની હદ તો ત્યારે વટાવી જ્યારે ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ રેખાબેનને જમીન પર ઢળી પડી હોવા છતાં તેના છાતી અને આંખના ભાગે આડેધડ મુક્કા માર્યા હતા અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને બાદમાં ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પતિ દ્વારા જ પત્નીની નિર્મમ હત્યાની ચોંકાવનારી ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની જાણ થતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી પતિ નંદરામ ગરવાલને દબોચી લીધો હતો, સાથે જ બનાવમાં વપરાયેલો પાવડો જપ્ત કરી પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
Dwarka,Jamnagar,Gujarat

