મહાત્મા ગાંધીનો જે જન્મભૂમિ પર જન્મ થયો છે તેવા પોરબંદરમાં ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. પોરબંદર મનપા દ્વારા શહેરના એસટી બસ ડેપો નજીક આવેલ ભંગાર બજાર નજીક અંદાજે 3200 થી 3500 ચોરસ મીટરની જગ્યામાં આધુનિક સુવિધાઓથી સજ્જ નોન-વેજ ફૂડ માર્કેટ બનાવવાની હિલચાલ તેજ કરવામાં આવી છે. 255 લાખ એટલે કે અઢી કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટમાં દમણની માર્કેટની તર્જ પર 28 જેટલા ફેબ્રિકેટેડ સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ આયોજનને પગલે મનપા દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. ત્યારે નોનવેજ માર્કેટને લઈને વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું હતું અને વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ નોન-વેજ માર્કેટને લઈને VHP વિરોધ નોંધાવી રહ્યું છે અને જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ પોરબંદરના નોન-વેજ લારી ધારકોમાં ખુશીનો માહોલ છે. તેમણે મહાનગરપાલિકાના આ નિર્ણયને વધાવ્યો છે. કારણ કે લાંબા સમય બાદ એક કાયમી અને સુવિધાજનક સ્થળ મળવા જઈ રહ્યું છે. મહત્વનું છે કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પર અઢી કરોડ જેવી માતબર રકમના ખર્ચે આકાર પામનાર પ્રોજેક્ટને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવું જ રહ્યું કે આગામી સમયમાં નગરપાલિકા દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે.
Source link
