Final Up to date:
ગુજરાત-મધ્યપ્રદેશની સરહદી વિસ્તારમાં નૂરીબેન ભાભોર નામની મહિલાએ પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીવી સામૂહિક આપધાતનો પ્રયાસ કર્યો છે, જેમાં ત્રણેય બાળકોનું મોત થયું છે, જ્યારે માતા દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દાહોદ: ગુજરાત-મધ્યપ્રદેશની સરહદી વિસ્તારમાંથી ત્રણ સંતાનો સાથે એક માતાએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના અડવાડા ગામે આ માતાએ પોતાના બે દીકરી અને એક દીકરા સાથે ત્રણ માસૂમ સંતાનો સાથે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે કરુણ ઘટનામાં ત્રણેય બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે માતા હાલ દાહોદની હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના અડવાડા ગામમાં નૂરીબેન ભાભોર નામની આ મહિલાએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. તેણે પોતાના સંતાનો 11 વર્ષીય પુત્રી સાવિત્રી ભાભોર, 5 વર્ષીય પુત્ર કાર્તિક ભાભોર અને માત્ર 3 વર્ષની નાનકડી દીકરી રીયા ભાભોરને ઝેરી દવા પિવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી છે. ત્યારે આ ઘટનાથી પરિવારમાં મોતનો માતમ છવાયો છે.
ત્રણ સંતાનો સાથે માતાએ ઝેરી દવા ગટગટાવવાની ગંભીર ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા અને બાદમાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને માને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા.
કમનસીબે, આ ઘટનામાં ત્રણેય બાળકોએ દમ તોડી દીધો હતો, ત્રણ બાળકોના મોત બાદ માતાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એકસાથે ત્રણ-ત્રણ સંતાનોના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે અને આખા ગામમાં માતમ છવાઈ ગયો છે.
હાલ આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. સાથે જ ઘટના પાછળનું સાચું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યારે હોસ્પિટલમાં દાખલ માતા ભાનમાં આવ્યા બાદ જ આ કરુણાંતિકા પાછળનું ચોક્કસ કારણ સામે આવશે.
Feb 14, 2026 11:41 AM IST

