Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પંજાબ કોંગ્રેસના નેતાઓને જૂથવાદ અંગે કડક ચેતવણી આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે તમામ નેતાઓ ટીમ પ્લેયર બને નહીં તો પાર્ટીનું શીર્ષ નેતૃત્વ તેમને ઠીક કરશે. રાહુલ ગાંધીનું આ નિવેદન પંજાબમાં કોંગ્રેસના નેતાઓમાં જૂથવાદના અહેવાલો વચ્ચે આવ્યું છે.
પંજાબના બરનાલામાં કિસાન મહાચૌપાલ રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું કોંગ્રેસને પણ સંદેશ આપવા માંગુ છું. ટીમ વર્ક દ્વારા કામ કરવામાં આવે છે. એક ખેલાડી રમત જીતી શકતો નથી. અમારી આખી ટીમ અહીં બેઠી છે અને હું તમને એક સંદેશ આપવા માંગુ છું. ટીમ પ્લેયર બનો નહીંતર અમે તમને રિઝર્વમાં બેસાડી દઇશું.
અસલી તાકાત આપણા કાર્યકર્તાઓ છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે ગમે તેટલા મોટા કેમ ના હોય. હું તમને કહું છું કે તમે ગમે તેટલા મોટા કેમ ના હોય, પાર્ટીથી મોટું કોઈપણ નથી. તમે ટીમના પ્લેયર બનો અને જો તમે નહીં બનો તો ખડગેજી અને હું તમને ઠીક કરીશું. આપણી અસલી તાકાત આપણા કાર્યકર્તાઓ છે. તેઓ જ આપણી અસલી તાકાત છે.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – સાણંદમાં એક નવા ભવિષ્યનો ઉદય થતો જોઇ રહ્યા છીએ
પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટીમાં કાર્યકરો સર્વોપરી છે અને તમામ નિર્ણયો તેમને સાથે લઇને લેવામાં આવશે. આપણે પંજાબના લોકો, ખેડૂતો અને યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું પડશે અને રાજ્યને સફળ બનાવવું પડશે. ”
આમ આદમી પાર્ટીને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી (આપ)ને સત્તામાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે ગયા મહિને રાજ્યમાં તેના નેતાઓને કડક ચેતવણી આપી હતી અને તેમને આંતરિક બાબતો પર જાહેરમાં એકબીજા વિરુદ્ધ કોઈ નિવેદન ના આપે.
