Final Up to date:
યુદ્ધની વૈશ્વિક અસરો અને રાજકોટમાં લાદવામાં આવેલા ગેસ કાપને કારણે શહેરની હોટલો અને ઉદ્યોગો તો પ્રભાવિત થયા જ છે, પરંતુ તેની સૌથી મોટી અસર ગરીબોને જમાડતી સેવા સંસ્થાઓ પર પડી છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ રાજકોટનું સેવાભાવી લોહી ઉકળી ઉઠ્યું છે. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, સદભાવના વૃદ્ધાશ્રમ અને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓએ ગેસ સિલિન્ડરના અભાવે સેવા કાર્ય અટકાવવાને બદલે પરંપરાગત લાકડાના ચૂલાઓ ફરી શરૂ કર્યા છે.
રાજકોટ: રાજકોટમાં હાલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગેસ સિલિન્ડરની સપ્લાય પર કાપ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં શહેરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડતી અનેક સેવા સંસ્થાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં પણ માનવસેવાની ભાવનાથી પ્રેરાઈ આ સંસ્થાઓ લોકો સુધી ભોજન પહોંચાડવાનું કાર્ય ચાલુ રાખવા માટે સંકલ્પબદ્ધ છે.
બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડર પર કાપ મૂકાતા રસોઈ બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. તેમ છતાં જરૂરિયાતમંદ લોકોને ભોજન મળે તે માટે સંસ્થા વિકલ્પરૂપે લાકડાની મદદથી ચૂલા પર રસોઈ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ કહે છે કે શાક, ખીચડી, રોટલી અને રોટલા જેવી કેટલીક વાનગીઓ ચૂલા પર બનાવી શકાય છે, પરંતુ કેટલીક વાનગીઓ એવી હોય છે જે ગેસ પર જ સરળતાથી તૈયાર થઈ શકે છે. આવા સમયે ગેસની અછત સેવા કાર્યમાં પડકાર ઊભો કરે છે.

જયેશભાઈ ઉપાધ્યાય વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં પણ સરકાર અને સમાજના સહયોગથી બોલબાલા ટ્રસ્ટે મોટા પાયે સેવા કાર્ય કર્યું હતું. તે સમયમાં સંસ્થાએ આશરે 20 લાખ લોકોને ભોજન કરાવીને વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેઓ કહે છે કે આ વખતે એવોર્ડ મળે કે ન મળે તે મહત્વનું નથી, પરંતુ રાજકોટમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો સૂએ નહીં તે જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. તેઓએ સરકારને અપીલ કરી છે કે બોલબાલા ટ્રસ્ટ જેવી સેવા સંસ્થાઓ માટે ગેસ સિલિન્ડરનું અનામત આયોજન કરવામાં આવે, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી સતત ભોજન પહોંચાડવાનું કાર્ય ચાલુ રહી શકે. સાથે જ સમાજના દાતાઓને પણ તેમણે અપીલ કરી છે કે શક્ય તેટલી મદદ કરે, જેથી આ મુશ્કેલ સમયમાં પણ રાજકોટ શહેરમાં કોઈ વ્યક્તિ ભૂખ્યા પેટે સૂવા મજબૂર ન બને.

સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી વિજય ડોબરીયા કહે છે કે હાલ ગેસ સિલિન્ડરની અછતને કારણે રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન મળે તે માટે તેઓ લાકડાની મદદથી ચૂલા પર રસોઈ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વડીલોની સેવા એ અમારી પ્રથમ જવાબદારી છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેમને ભોજનથી વંચિત રાખી શકાતું નથી. વિજય ડોબરીયાએ સરકારને અપીલ કરી છે કે સેવા સંસ્થાઓ માટે ગેસ સિલિન્ડરનું ખાસ આયોજન કરવામાં આવે જેથી આવા આશ્રમોમાં રહેલા વડીલોને કોઈ મુશ્કેલી ન પડે.
આ જ રીતે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઈએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવાનું કાર્ય કરી રહી છે. હાલ ગેસ સિલિન્ડર પર કાપ મૂકાતા રસોઈ બનાવવામાં મુશ્કેલી આવી રહી છે, છતાં સેવા કાર્ય અટકશે નહીં. કેટલીક વાનગીઓ લાકડાની મદદથી ચૂલા પર બનાવી શકાય છે, પરંતુ ઘણી વાનગીઓ ગેસ પર જ બનાવવી જરૂરી બને છે. આવા સમયમાં સરકાર દ્વારા સેવા સંસ્થાઓને પ્રાથમિકતા આપીને ગેસ સિલિન્ડર આપવામાં આવે તો હજારો લોકો સુધી ભોજન પહોંચાડવાનું કાર્ય સરળ બની શકે.
ભરતભાઈ વધુમાં જણાવ્યું કે, શહેરમાં ઘણી સંસ્થાઓ ગરીબો અને જરૂરિયાતમંદો માટે રોજિંદું ભોજન તૈયાર કરે છે. જો ગેસ સિલિન્ડરની અછત લાંબા સમય સુધી રહેશે તો આ સેવા કાર્ય પર અસર પડી શકે છે. તેથી સરકાર અને સમાજ બંનેએ મળીને મદદ કરવી જરૂરી છે જેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા પેટે સૂવા મજબૂર ન બને. સેવા સંસ્થાઓના ટ્રસ્ટીઓએ સમાજના દાતાઓ અને સંસ્થાઓને પણ અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં શક્ય તેટલી મદદ કરે. જો સૌ સાથે મળીને પ્રયાસ કરશે તો રાજકોટ શહેરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂએ તેવો સંકલ્પ જરૂર પૂરું થઈ શકે.
